ગરીબ બાળકોના જીવનમાં દિવાળીની ખુશીઓ ભેટ ધરતું યંગ ઇન્ડિયા ગ્રુપ

- text


 

ગરીબ બાળકોને ફટાકડા આપવાની સાથે ભરપેટ ભોજન કરાવી આનંદના અજવાળા પ્રગટાવી દીપાવલીના સાચા મર્મને દિપાવ્યો

મોરબી : માણસના ભીતરમાં રહેલા અંધકારને દૂર કરીને તેજોમય પ્રકાશ ફેલાવવાનું પર્વ એટલે દીપોત્સવી ખરેખર બીજાના જીવનમાંથી અંધકાર દૂર કરીને નવી આશાઓ, ઉમગનો રંગ ભરી દેવો એ જ આ દિવાળીની સાચી ઉજવણી છે. ત્યારે દરેક તહેવારોની આ રીતે પ્રેરણાદાયી ઉજવણી કરવા માટે જાણીતા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ખાસ કરીને અનેક અભાવો વચ્ચે જીવતા સામાન્ય પરિવારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગરીબ બાળકોને ફટાકડાની કીટ આપી સ્વાદિષ્ટ ભોજન કરાવીને દિવાળીની ઉજવણીનો સાચો મર્મ દિપાવ્યો હતો.

મોરબીમાં શહીહ ભગતસિંહના ક્રાંતિકારી વિચારોને વરેલા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આપવાના આનંદ અભિયાન હેઠળ દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે જેમાં આપવાનો આંનદ એટલે જે લોકો જીવનના અનેક અભાવોથી વંચિત હોય એમની સાથે પરિવાર જેવી આત્મીયતા કેળવીને તહેવારોની સાચા અર્થમાં ખુશી આપવી. આવી રીતે યંગ ઇન્ડિયા ગ્રુપ દરેક તહેવારોની સર્વધર્મ સમભાવની જેમ ઉજવણી કરીને અભાવોથી વંચિત લોકોની જિંદગીમાં ઉમગનો રંગ ભરી દે છે. ત્યારે આજે તેજોમય પ્રકાશ પર્વ દીપોત્સવીની આવી રીતે પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.

દિવાળીની પ્રેરણાદાયી ઉજવણી સંદર્ભે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દિલના દીવાઓ પ્રજલિત કરી “આનંદ ના અજવાળા” કરવાનો અવસર..આ અંગે તેમના શબ્દોમાં જોઈએ તો તેઓ કહે છે તમને ખબર છે કે તમે જેવી જિંદગી જીવો છો એવી જિંદગી સમગ્ર વિશ્વમાં માત્ર દસ ટકાના નસીબમાં જ લખાયેલી છે, બાકીના નેવુ ટકા લોકો તમે જેવી જિંદગી જીવો છો એવી જિંદગી જીવવાનું સપનું જોતા હોય છે. ત્યારે દિલમાં માનવતા, ઉદારતા અને પ્રામાણિકતાનો દીવડો ઝગમગતો રાખીએ, સમગ્ર વિશ્વમાં આપોઆપ ઉજાસ ફેલાશે. દિવાળી અને નવું વર્ષ એ માત્ર કેલેન્ડર બદલવાની ઘટના નથી પણ એક નવી શરૂઆત કરવાનો અવસર છે. ઘર સાફ થઈ ગયાં પણ દિલનું શું? આ તહેવાર હળવાં થવાનો મોકો આપે છે.

વધુમાં તેઓ ઉમેરે છે કે, સવાલ એ જ હોય છે કે આપણે આ મોકાનો ઉપયોગ કરીએ છીએ કે નહીં? કંઈ છૂટતું નથી, કંઈ બદલાતું નથી, માત્ર રોજે રોજ તારીખિયાનું એક પાનું ખરતું જાય છે અને જિંદગીનો એક-એક દિવસ ઘટતો જાય છે. દિવસો તો વિતવાના જ છે, એને કોઈ રોકી શકવાનું નથી. આપણે જો એ ચાલ્યા જતાં દિવસોનો અફસોસ ન કરવો હોય તો શ્રેષ્ઠ માર્ગ એ છે કે એને શ્રેષ્ઠ રીતે જીવી લેવા!!! એટલા માટે જ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી અલગ અલગ વિસ્તારમાં રેહતા જરૂરિયાતમંદ નાના બાળકોને દિવાળી દિવસે આશરે ૨૫૦૦ બાળકોને વિવિધ ફટાકડાની કીટ તથા સ્વાદિષ્ટ હલવો અને લાડવા સાથે ભોજન જમાડીને વિતરણ કરીને દિવાળીની ઉજવણી કરી અને આવનાર નવા વર્ષમાં પણ આવા સમાજ ઉપયોગી કામ કરવાની નેમ કરી જીંદગીને શ્રેષ્ઠ રીતે જીવી લેવાની એક નાનકડી કોશિશ કરી હોવાનું અંતમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું.

- text

- text