મોરબી જલારામ મંદિરના અગ્રણીઓ અસ્થિ વિસર્જન માટે સોમનાથ જવા રવાના

- text


15 બિનવારસી મૃતદેહોના અસ્થિઓ સહિત કુલ 78 દિવંગતોના અસ્થિઓનું ત્રિવેણી સંગમ ખાતે સામૂહિક વિસર્જન કરશે

મોરબીઃ મોરબી જલારામ મંદિરના અગ્રણીઓ 15 બિનવારસી મૃતદેહના અસ્થિઓ સહીત કુલ 78 દિવંગતોના અસ્થિઓનુ ગ્રહણ પહેલા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામૂહિક અસ્થિ વિસર્જન કરવા રવાના થયા છે.
હિન્દુ ધર્મની પરંપરા મુજબ દિવંગતોના આત્માની શાંતિ અર્થે ગ્રહણ પહેલા અસ્થિઓનું વિસર્જન કરવું અનિવાર્ય હોય છે. ત્યારે દિવાળીના પર્વ પર સૂર્યગ્રહણ હોય મોરબી જલારામ મંદિર દ્વારા તારીખ 20 ઓક્ટોબરના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમાં 15 બિનવારસી મૃતદેહના અસ્થિઓ સહિત કુલ 78 દિવંગતોના અસ્થિઓનું સામૂહિક અસ્થિ વિસર્જન કરવામાં આવશે. આજ રોજ 19 ઓક્ટોબરના રોજ મોરબીના તમામ સ્મશાનેથી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન થયા બાદ સંસ્થાના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થયા છે.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવે છે. તે ઉપરાંત તેમના અસ્થિઓનું સોમનાથ મુકામે ત્રિવેણી સંગમમાં સામૂહિક વિસર્જન કરવામાં આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનોના અસ્થિઓનું વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓનું વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

આ ભગીરથ કાર્યમાં સંસ્થાના ગીરીશભાઈ ઘેલાણી, હીતેશ જાની, ચિરાગભાઈ રાચ્છ, હરકાંતભાઈ વ્યાસ, પોલાભાઈ પટેલ, મનિષભાઈ પટેલ, નિર્મિતભાઈ કક્કડ, નરસીભાઈ રાઠોડ, ભાવીનભાઈ ઘેલાણી સહીતના અગ્રણીઓ જોડાયા હતા.

- text

- text