મોરબીની કોલેજો દ્વારા મનુષ્ય ગૌરવ દિનની ઉજવણી કરાઈ 

- text


મહંત ભાણદેવજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ

મોરબી: પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેના જન્મદિવસને દેશ મનુષ્ય ગૌરવ દિવસ તરીકે ઉજવતો હોય છે. ત્યારે આજરોજ 19 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રેરિત પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ભારતીય સંસ્કૃતિ ચેર દ્વારા યુવાનોમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું રોપણ થાય અને આજનો યુવાન ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય તેના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન મોરબી શહેર જિલ્લાની જુદી જુદી કોલેજો દ્વારા સંયુક્ત રીતે મનુષ્ય ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં તક્ષશિલા બી.એડ. કોલેજ- હળવદ, આર્યતેજ બી.એડ. કોલેજ, નવયુગ બી.એડ. કોલેજ, આઈ. એમ. કોલેજ, એપેક્સ કોલેજ, એમ. પી. પટેલ બી.એડ. કોલેજ, આર. ઓ. પટેલ બી.એડ. કોલેજ અને પી. જી. પટેલ કોલેજ- મોરબીના સંયુક્ત ઉપક્રમે શનાળા રોડ પર આવેલી પટેલ વાડીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સરસ્વતી નિકેતન આશ્રમ જોધપર નદીના મહંત ભાણદેવજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિમાં મનુષ્ય ગૌરવ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, કોઈપણ જગ્યાએ મનુષ્ય કેન્દ્રમાં હોય અને આ મનુષ્ય એકબીજાનું ગૌરવ કેળવે તેવા શિક્ષણની આવશ્યકતા છે. તેઓએ આ સાથે અનેક ઉદાહરણ આપી યુવાનોને પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પાંડુરંગ દાદાને યાદ કરીને તેમને કરેલા કાર્યોની નોંધ લઇ ગૌરવ પૂર્વક જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગૌરાંનવીત છે કે તેમના દ્વારા પૂજ્ય દાદાને ડીલીટની પદવીથી નવાજવામાં આવ્યા હતા. ડો. ગિરીશ ભીમાણીએ મોરબીની કોલેજોના અધ્યાપકો, આચાર્યો અને સંચાલકોને આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતી અભિનંદન પાઠવી આભારની લાગણી વ્યક્ત કરી હતી.

- text

આ પ્રસંગના આયોજક પૂજ્ય પાંડુરંગશાસ્ત્રી આઠવલે ભારતીય સંસ્કૃતિ ચેરના કો-ઓર્ડીનેટર શિક્ષણ વિદ્યાશાખાના ડીન ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિદત બારોટે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માત્ર વર્ગખંડની અંદર શિક્ષણ આપતી સંસ્થા નથી પરંતુ વર્ગખંડની બહાર શિક્ષણ આપી વિદ્યાર્થીઓને જીવન કૌશલ્ય પૂરું પાડનાર સંસ્થા છે. અને આ ચેર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન થઈ શકે તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને મોરબીની કોલેજ દ્વારા આ સુંદર આયોજન કરાયું તે બદલ તેઓએ સૌને બિરદાવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન તક્ષશિલા કોલેજના અલ્પેશભાઈ સીણોજીયાએ કર્યું હતું અને આભાર વિધિ રાજેશભાઈ ગોસરાએ કરી હતી. કાર્યક્રમમાં મોરબીની જુદી જુદી કોલેજોના સંચાલકો બેચરભાઈ પટેલ, બળદેવભાઈ પટેલ, ભવદીપસિંહ જેઠવા, સુમનભાઈ પટેલ, પ્રકાશભાઈ ગોરીયા ઉપસ્થિત રહ્યા હતા.

- text