મોરબીમાં ચારિત્ર્યની શંકા કરીને પત્નીને મોતને ઘાટ ઉતારી દેતો પતિ

- text


પતિના ત્રાસથી ઘર છોડ્યું છતાં પણ પતિએ શોધી લાવી પત્નીની હત્યા કરી નાખી

મોરબી : મોરબીના વિસ્તાર નજીક આવેલ રેલવે સ્ટેશન વિસ્તારમાં પતિ અને પત્ની વચ્ચેના ઝઘડાનો કરુણ અંત આવ્યો હતો. જેમાં પતિ વારંવાર ચારિત્ર્ય ઉપર શંકા કરીને મારઝૂડ કરતો હોવાથી પત્ની ઘરેથી ભાગી ગઈ હતી.પણ પતિએ પત્નીને શોધીને ઘરે લાવી ધોકા ફટકારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે હત્યારા પતિને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વીસીપરા પાસે આવેલ રેલવે સ્ટેશન નજીક રહેતા હલીમાબેન અનવરભાઈ શેખ (ઉ.વ.24)ને ગઈકાલે રાત્રે ગંભીર ઇજા થતાં તેમને તાકીદે સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ સ્ટાફે સઘન તપાસ ચલાવતા મૃતક હલીમાબેન અનવરભાઈ શેખની હત્યા થયાનું બહાર આવ્યું હતું અને પત્નીની હત્યા તેના પતિ અનવરશા ખમિશા શેખે જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. આથી મૃતકના કચ્છ-અંજાર રહેતા માતા આઇશાબેન મહંમદભાઈ શેખે જમાઈ અનવરભાઈ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.

- text

ફરિયાદમાં જણાવ્યા મુજબ પતિ અનવર વારંવાર પત્ની હલીમાબેન ઉપર ચારિત્ર્ય બાબતે શંકા કરતો હતો અને વારંવાર ચારિત્ર્ય બાબતે શંકા કરી પત્નીને મારઝૂડ પણ કરતો હોવાથી રોજરોજના કજિયા કંકાસ અને પતિના મારના ત્રાસથી કંટાળી ગયેલી પત્ની હલીમાબેન થોડા દિવસો પહેલા ઘર છોડીને ક્યાય નીકળી ગયા હતા. પરંતુ પાછળથી પતિ અનવરે પત્ની હલીમાબેનની શોધખોળ કરીને ઘરે લાવ્યો હતો અને ફરી બાદમાં ચારિત્ર્ય બાબતે ઝઘડો કરી પતિ અનવરે પત્ની હલીમાબેનને ધોકા મારીને પતાવી દીધી હતી. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપી પતિ સામે હત્યાના ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text