- text
મોરબી : મોરબીમાં મિત્રતાના દાવે રૂપિયા ત્રણ લાખ હાથ ઉછીના મેળવ્યા બાદ રકમ પરત નહીં ચૂકવી બદલામાં આપેલ ચેક પણ રિટર્ન થતા આ અંગેનો કેસ નામદાર મોરબી અદાલતમાં ચાલી જતા કોર્ટ મુદતમાં હાજર ન થનાર આરોપીને નામદાર અદાલતે બમણી રકમનો દંડ 9 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવાની સાથે આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારી છે.
- text
આ કેસની ટૂંકી વિગત જોઈએ તો મોરબીના રહીશ બલરાજસિંહ જાડેજાએ મિત્રતાના દાવે આરોપી શશીકાંતભાઇ ધનજીભાઈ કણઝારિયા રહે.વાવડીરોડ, સંજય સોસાયટી, ઉમિયાપાર્કની બાજુમાં વાળાને રૂપિયા ત્રણ લાખ હાથ ઉછીના આપ્યા હતા બાદમાં આ રકમ પાર્ટ નહીં આપી આરોપીએ રૂપિયા ત્રણ લાખનો ચેક આપ્યો હતો. જે ચેક રિટર્ન થતા ફરિયાદી બલરાજસિંહ જાડેજાએ આરોપી શશીકાંતભાઇ ધનજીભાઈ કણઝારિયા વિરુદ્ધ નામદાર અદાલતમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કેસ દાખલ કરતા આરોપીને તક આપવા છતાં કોર્ટ મુદતે હાજર ન રહેતા નામદાર અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો.
વધુમાં નામદાર અદાલત દ્વારા આરોપી શશીકાંતભાઇ ધનજીભાઈ કણઝારિયા રહે.વાવડીરોડ, સંજય સોસાયટી, ઉમિયાપાર્કની બાજુમાં વાળાને ચેક રિટર્ન કેસમાં બમણી રકમનો દંડ વાર્ષિક રૂપિયા 9 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ કરી એક વર્ષની કેદની સજા ફટકારી છે. આ કેસમાં ફરિયાદ પક્ષે ઉદયસિંહ આર.જાડેજા રોકાયેલા હતા.
- text