- text
મોરબી તાલુકાના રાજપર ગામ નજીક બનેલી ઘટના : ત્રણ વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબી : મોરબી તાલુકાના આમરણ, બાદલપર ગામે રહેતા યુવાનના પિતાજીએ તેમના કૌટુંબિક સગાની પુત્રીના બાળલગ્ન અટકાવ્યા હોવાની શંકા રાખી મોરબી વજેપરમાં રહેતા ત્રણ શખ્સોએ યુવાનને રાજપર ગામ નજીક ઢીકા પાટુનો માર મારી છરી ઝીકી દઈ જાનથી પતાવી દેવા ધમકી આપતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના આમરણ બાદલપર ગામે રહેતા મગનભાઇ કલ્યાણજીભાઇ સાવરીયાના મામા બાબુભાઇની દિકરીના લગ્ન નાની ઉંમરના કારણે રોકાય ગયેલ હોય અને આ લગ્ન મગનભાઇના પિતા કલ્યાણજીભાઈએ રોકાવ્યા હોવાની શંકા રાખી વજેપર મોરબીમાં રહેતા વિનોદભાઇ શિવાભાઇ સાવરીયા, સુરેશભાઇ શીવાભાઇ સાવરીયા અને જયદિપ કાળુભાઇ સાવરીયાએ રાત્રીના આશરે સાડા બારેક વાગ્યાના અરસામાં મગનભાઈ લઘુશંકાએ જતા હીંચકારો હુમલો કર્યો હતો.
- text
વધુમાં મગનભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓએ માર મારી, છરી વડે પગમાં ઇજા પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હોવાનું જાહેર કરતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
- text