વડાપ્રધાન મોદીને સ્કૂલ એડમિનિસ્ટ્રેટીવ સિસ્ટમ અંગેની વિસ્તૃત જાણકારી આપતા મોરબીના આચાર્ય

- text


 

વડાપ્રધાને વિદ્યા સમીક્ષા કેન્દ્રની લીધી મુલાકાત, શિક્ષણ વિભાગના પ્રોજેક્ટ અંગે માહિતી પ્રદાન કરવા શાંતિવન શાળાના આચાર્ય મનન બુધ્ધદેવની પસંદગી

મોરબી : ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ની મુલાકાત લીધી હતી. જ્યાં શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ બાબતે રજૂઆતો કરવાની હતી, જેમાં મોરબીની શાંતિવન શાળાના આચાર્ય એવા મનન બુધ્ધદેવની પસંદગી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી સમક્ષ સ્કૂલ એડમિનિસ્ટ્રેટીવ સિસ્ટમ – SAS વિશેની પ્રસ્તુતિ ટીમમાં તેઓએ ઉત્સાહપૂર્વક કામગીરી બજાવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે અને આ મુલાકાતોમાં શિક્ષણ વિભાગની કાર્યશૈલી નિહાળવા વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. જેમાં ગુજરાતની ઉદ્યોગનગરી એવા મોરબી શહેરની શાંતિવન પ્રાથમિક શાળાના એચ.ટાટ. આચાર્ય મનન બુધ્ધદેવ અને તેમની ટીમના સભ્યોએ પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઈ.જોશીના નેતૃત્વ હેઠળ વડાપ્રધાન સમક્ષ પ્રસ્તુતિ કરી હતી. જે સમગ્ર મોરબી પંથક માટે એક ગૌરવની બાબત બની છે.

મનન બુધ્ધદેવ પાઠ્યપુસ્તક નિર્માણ સમિતિમાં પણ સદસ્ય છે અને રાજ્યના વિષય નિષ્ણાતોમાંના એક છે. જેમની GCERT વારંવાર નોંધ લેતું રહ્યું છે. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક વખત મોરબી અને ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ છે. તેઓની આ વિશેષ સિદ્ધિઓ જોતાં વડાપ્રધાનની સમક્ષ પ્રસ્તુતિ માટે સમગ્ર રાજ્યમાંથી પસંદ થયેલ આચાર્ય અને શિક્ષકોમાં તેમની પસંદગી કરવામાં આવેલ હતી.

સ્કૂલ એડમિનિસ્ટ્રેટીવ સિસ્ટમ – SAS એ દરેક શાળામાં હાલમાં કાર્યરત છે, આ વેબપોર્ટલનો હેતુ શિક્ષકો અને આચાર્યોની વહીવટી કામગીરી સરળ બનાવવામાં ઉપયોગી છે. પહેલાં શિક્ષકોએ હાથે લખીને માસિક હકીકત પત્રક અને પગારબિલ બનાવવા પડતાં હતાં, જે હવે ગણતરીની મિનિટોમાં જ ઓનલાઈન તૈયાર થઈ જાય છે. દરેક શિક્ષકને પોતાનો આઈડી અને પાસવર્ડ આપેલ છે, જેની મદદથી નોકરીને લગતી તમામ દરખાસ્ત તૈયાર કરી ઓનલાઈન મોકલી શકાય છે. દરેક શાળા અને શિક્ષકોની માહિતીનું વિશ્લેષણ કરી શાળાની ભૌતિક અને શૈક્ષણિક જરૂરિયાતોનું આયોજન ઉપલી કચેરીઓ સરળતાથી કરી શકે છે.

- text

વડાપ્રધાને ઉપરોક્ત કામગીરી બિરદાવી હતી અને જે માનવકલાકો બચ્યાં એને વર્ગશિક્ષણ કાર્યમાં ઉપયોગી થશે એમ દૃઢતાપૂર્વક જણાવ્યું હતું. નેશનલ ડિજિટલ એજ્યુકેશન આર્કિટેકચર (NDEAR ) ફ્રેમવર્ક પર આધારિત અત્યાધુનિક ટેકનોલોજી અને ડેટા સંચાલિત કેન્દ્ર ગાંધીનગર ખાતે નરેન્દ્ર મોદી સાહેબ મુલાકાતે આવ્યા હતા. ત્યાં ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કેન્દ્રની મુલાકાત વડાપ્રધાન લઈ રહ્યા હતા ત્યારે શિક્ષણ વિભાગે રાજ્યના 18 આચાર્ય અને શિક્ષકોને પસંદ કરી અને તેમને પ્રસ્તુતિ માટે નિયુક્ત કર્યા હતા.

આ પ્રસ્તુતિ માટે મોરબીમાંથી મનન બુધ્ધદેવની પસંદગી કરવામાં આવતાં તેઓએ મોરબી અને સમગ્ર રાજ્યના એચ.ટાટ. આચાર્યોનું ગૌરવ વધાર્યું હતું. આ તકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીએ તેમને અભિનંદન પાઠવ્યાં હતા.

- text