48 કલાકમાં નર્મદા કેનાલના પાણી નહિ આપો તો આંદોલન : માજી ધારાસભ્ય અમૃતિયા મેદાને

- text


ખેડૂતોનો પાક મુરજાઈ રહ્યો છે ત્યારે સરકારે જાહેરાત કરી હોવા છતાં પાણી ન અપાતા તંત્ર સામે ખુલ્લેઆમ મેદાને આવ્યા

મોરબી : માળીયા બ્રાન્ચ કેનાલમાંથી માળીયા તાલુકાના ગામોને સિંચાઈ સુવિધા આપવા માટે પૂર્વ ધારાસભ્ય મેદાને આવ્યા છે અને સરકારે અગાઉ જાહેરાત કરી હોવા છતાં સંબધિત તંત્ર અણીના સમયે ખેડૂતોને સિંચાઈની સુવિધા ન આપીને અન્યાય કરતા હોવાના બળાપા સાથે તેઓએ તંત્ર સામે લડાયક મિજાજ અપનાવી 48 કલાકમાં પાણી નહિ મળે તો આંદોલન છેડવા ચીમકી આપી છે.

નર્મદા યોજનાની માળીયા બ્રાન્ચ કેનાલમાંથી માળીયા તાલુકાના ગામોને સિંચાઈ સુવિધા આપવા માટે પાણી આપવામાં આવશે તેવી સરકારે અગાઉ જાહેરાત કરી હતી. પરંતુ કેનાલની સફાઈ ન થઈ હોવાને લઈને તથા અન્ય કારણોસર ખેડૂતોને હજુ સુધી પાણી મળ્યું નથી. બીજી તરફ આગોતરું વાવેતર સિંચાઈના અભાવે મુરજાઈ રહ્યું છે. આથી ખેડૂતો બેહાલ બની ગયા છે. આવા સંજોગોમાં ખેડૂતોને તાત્કાલિક પાણી નહિ મળે તો આગોતરું વાવેતર નિષ્ફળ જવાના એંધાણ વર્તાય રહ્યા છે ત્યારે ખેડૂતોની વહારે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા આવ્યા છે.

- text

આજે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ તંત્રને ચીમકી આપતાં જણાવ્યું હતું કે, આગામી ૪૮ કલાકમાં ખેડૂતોને પાણી નહીં મળે તો તેઓ તંત્રની સામે ઉગ્ર આંદોલન કરશે. કારણ કે મહેનતકશ ખેડૂત માંડ બિયારણ અને ખાતર ભેગું કરે છે. પણ પાણીના અભાવે તંત્રની બેદરકારીને લઈને ખેડૂતોને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન જશે, જે અસહ્ય છે. માળિયાની પ્રજાને કાયમી સહન જ કરવું પડે તે અન્યાયકારક છે. જેની સામે તેઓએ અવાજ ઉઠાવ્યો છે. ત્યારે આ મુદ્દે તંત્ર કેવું વલણ અપનાવે છે તે જોવાનું રહ્યું.

- text