પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે વાંકાનેરના મહારાજા કુમાર ડો. રણજિતસિંહજીનો અમૂલ્ય ફાળો

- text


વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એકટ તૈયાર કરવાનો શ્રેય પણ મહારાજા કુમારના નામે 

કલેકટર અને ઉપસચિવ જેવા મહત્વપૂર્ણ હોદા ઉપર બિરાજી દેશ અને વિદેશમાં પ્રકૃતિ માટે મહત્વપૂર્ણ યોગદાન

મોરબી : આજે તા.5 જૂન છે. વિશ્વ આજના દિવસને પર્યાવરણ દિન તરીકે ઉજવે છે ત્યારે વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે અમૂલ્ય ફાળો આપનાર વાંકાનેર રાજવી પરિવારના મહારાજા કુમાર ડો.રણજીતસિંહજી વિષે મોરબી જિલ્લાના લોકો પણ કદાચ અજાણ હશે. પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે વાંકાનેરના મહારાજા કુમાર ડો. રણજિતસિંહજીનો અમૂલ્ય યોગદાન આપવાની સાથે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એકટ તૈયાર કરી દેશ અને વિદેશમાં પ્રકૃતિ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

હાલ દિલ્હી ખાતે રહેતા મહારાજા કુમાર ડો.રણજીતસિંહજી વિષે ગુગલ પર સર્ચ કરતા વાંકાનેરના રાજકુમારે વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે કરેલા નોંધનીય પ્રદાન વિશે ઢગલાબંધ માહિતી પ્રાપ્ત થશે. મહારાજ કુમાર ડો. રણજિતસિંહજી પ્રતાપસિંહજી ઝાલાનો જન્મ 19 ફેબ્રુઆરી 1939 ના રોજ થયો હતો. ડો.એમ.કે.રણજીતસિંહજીએ દિલ્લી યુનિવર્સિટીથી ઈતિહાસ વિષય સાથે માસ્ટર ઓફ આર્ટ્સની ડીગ્રી મેળવી. UPSC ના આપણને દુર્ગમ લાગતા પહાડને ઓળંગી એટલે કે સિવિલ સર્વિસ પાસ કરી ઈ.સ.1961 માં મધ્યપ્રદેશ કેડરના આઈ.એ.એસ (IAS) બન્યા અને સૌ પ્રથમ કલેકટર તરીકે મંડલા જિલ્લામાં એમનું પોસ્ટિંગ થયું. પરતું એમને તો જાણે પ્રકૃતિ બોલાવતી હતી.

પ્રશાસનના સર્વોચ્ચ હોદ્દા શોભાવી પ્રકૃતિ માટે કંઈક શ્રેષ્ઠ કરવા જાણે જન્મ્યા હોય એમ ગ્રાસરૂટથી તેઓએ પહેલાં પ્રકૃતિના મહત્ત્વના અંગ એવા પર્યાવરણ અને વન્યજીવોને જાણ્યા, સમજ્યા એના સંરક્ષણ માટે જાણે દ્રઢ નિશ્ચિયિ બન્યાં. અને એમણે નિઃસ્વાર્થ પોતાનું જીવન આ પ્રાકૃતિક પર્યાવરણ અને વન્યજીવો માટે સમર્પિત કરી દીધું. પોતે મોટા રાજ્યના મહારાજ કુમાર હતાં. સાથે કલેકટર, સચિવ જેવા ઉચ્ચ હોદ્દા પર પણ આસીન હતા. છતાં લેશ માત્ર અભિમાન નહીં. એકદમ સરળ સાદું જીવન જીવ્યા અને હજી એમજ જીવે છે. ડો.એમ.કે.રણજીતસિંહજી બાપાને એમની આ સરળતાથી પ્રસન્ન પ્રકૃતિએ જાણે એમના નામે અનેક કીર્તિમાનો કર્યા હશે..

ડો. એમ.કે.રણજીતસિંહજીએ પોતાના કાર્યકાળ દરમિયાન સૌ પ્રથમ જ્યારે કલેકટર બન્યા ત્યારે જ ભારત સરકારના હરણની બારાસિંગા જાતને બચાવવાના અભિયાનમાં સક્રિય ભૂમિકા નિભાવી હતી અને તેઓ મધ્ય પ્રદેશમાં કલેકટર અને ઉપસચિવ તરીકે ઈ. સ. 1962 થી 1971 સુધી કાર્ય કર્યું હતું. ઈ.સ.1971 થી 75 દરમિયાન ઉપસચિવ (વન અને વન્યજીવ), ડાયરેક્ટર WTI (વન્યજીવ) ભારત સરકાર તરીકે સેવા આપી, ઈ.સ. 1975 થી 80 દરમિયાન વૈશ્વિક કક્ષાએ ગૌરવ થાય તેવું પદ શોભાવતા તેઓ નૈરોબી અને બેન્કોક ખાતે સંયુક્ત રાષ્ટ્ર સંઘના પર્યાવરણ કાર્યક્રમ (UNEP) ના પ્રાદેશિક સલાહકાર રહયા.

- text

ઈ.સ.1985 થી 89 દરમિયાન સંયુક્ત સચિવ (વન્ય અને વન્યજીવ) પર્યાવરણ અને વન મંત્રાલય ભારત સરકાર દિલ્હીમાં સેવારત રહ્યા. ઈ.સ.1989 થી 92 દરમિયાન એડી.સેક્રેટરી (સચિવ) અને પરિયોજના ડાયરેક્ટરેટ, એડી.સેક્રેટરી (સચિવ) પર્યાવરણ અને વન મંત્રાલય, ભારત સરકારમાં ઉચ્ચ પદ પર રહ્યા. ઈ.સ. 1993 થી 95 ચેરમેન, નર્મદા ઘાટી ડેવલોપમેન્ટ ઓથોરિટી ભારત સરકાર. ઈ.સ. 1995 થી 96 ડાયરેક્ટર જનરલ કાઉન્સિલ ફોર એડવાન્સમેન્ટ ઓફ પીપલ્સ એક્શન એન્ડ રુલર ટેકનોલોજી (CAPART) ભારત સરકારના ઉચ્ચ પદેથી તેઓ સિવિલ સર્વિસમાંથી નિવૃત્ત થયાં. પણ પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણના કાર્યમાંથી નહીં. તેઓ આજે પણ પ્રકૃતિ માટે ઘણું કરી રહ્યા છે.

જ્યાં કાર, બાઈક કે કોઈપણ વિહિકલ ન જઈ શકે એવા દુર્ગમ પહાડોમાં સંશોધન હેતુ દિવસ રાત જોયા વગર એકે જોગીની જેમ દિવસોના દિવસો સુધી ફર્યા. આ દરિયાન તેઓએ સૌથી મહત્વપૂર્ણ કાર્ય કર્યું જે કાર્ય તેઓને ભારતમાં પર્યાવરણ ક્ષેત્રે અમર કરનાર રહેશે તેઓએ ‘1972નો વાઈલ્ડ લાઈફ (પ્રોટેક્શન) એકટ/કાયદો’ (ભારત સરકાર) તૈયાર કર્યો, તેનો સંપૂર્ણ મુસદ્દો ગ્રાસરૂટના તેઓના અનુભવ, જ્ઞાન દ્વારા તૈયાર કર્યો. જે ભારતવાસીઓ ખાસ કરીને ગુજરાતી તરીકે ખૂબ ગૌરવ અનુભવવા જેવું છે. મધ્યપ્રદેશ અને ભારત સરકારના ઉચ્ચ પદો સિવાય તેઓ ટ્રસ્ટી ધ કારબેટ ફાઉન્ડેશન, સભ્ય નેશનલ ફોરેસ્ટ કમિશન, સભ્ય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેસ્ટ મેનેજમેન્ટ, સભ્ય ઇન્ટરનેશનલ ટ્રોપીકલ ટાઇમ્બર ઓર્ગનાઈઝેશન, સભ્ય મધ્યપ્રદેશ સ્ટેટ વાઈલ્ડલાઈફ બોર્ડ , 2006 થી આજદિન સુધી કાર્યરત છે.

મહારાજા કુંવર ડો.એમ.કે.રણજીતસિંહજીએ પર્યાવરણને લગતા અનેક પુસ્તકો, સંશોધન ગ્રંથ, લેખ પણ લખ્યા છે જેમાં ‘ધ ઇન્ડિયન બ્લૅકબગ’ (ઈ.સ.1989, ‘અ લાઈફ વિથ વાઈલ્ડલાઈફ’ (ઈ.સ.1995), ‘બેયોન્ડ ધ ટાઇગર’, પોટ્રેઈટ ઓફ એશિયન વાઈલ્ડ લાઈફ (ઈ.સ.1997) વગેરે અનેક લગભગ ત્રણ ડઝન જેટલા શોધલેખોનો સમાવેશ થાય છે.

ડો. એમ.કે.રણજીતસિંહજીને તેઓની સેવા અને શ્રેષ્ઠ કર્યો બદલ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમ્માન પણ કરવામાં આવ્યા છે. જેમાં (૧) વન્યજીવ સંરક્ષણ (વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન) માટે 2014 માં લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ (૨) ઈ.સ.1989 માં તેમને આંતરરાષ્ટ્રીય સમ્માન ‘ધ ઓડર ઓફ ગોલ્ડ આર્ક’ થી સમ્માનિત કરવામાં આવ્યા. સાથે જ 1991 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘના પર્યાવરણ કાર્યક્રમ (UNEP) ના 500 સમ્માનનિય વ્યક્તિઓની સૂચિમાં તેમનું સિલેક્શન થયું. (૩) ડો.એમ.કે.રણજીતસિંહજી બાપાને GQ (former Gentelmen’s Quarterly) વિશ્વ પ્રસિદ્ધ મેગેઝીન દ્વારા વર્ષ 2018 માં ‘એનવાયરમેન્ટલ હિરો’ ના એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે.

- text