સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કાંઠે વાવાઝોડાનો ખતરો : તંત્ર સાબદુ

- text


લો પ્રેશરની ગતિવિધિ પર હવામાન વિભાગની સતત નજર : સૌરાષ્ટ્ર – કચ્છ કલેક્ટર સાથે તાકીદની બેઠક યોજતા મુખ્યમંત્રી

મોરબી : કોરોનાની ઉપાધી હજુ ગઈ નથી ત્યાં અરબી સમુદ્રમાં ઉદભવી રહેલાં વાવાઝોડાને પગલે ગુજરાત સરકાર એલર્ટ બની છે. આ વાવાઝોડુ સૌરાષ્ટ્ર – કચ્છના દરિયાકાંઠે ટકરાઇ શકે છે તેવી ભીતિને પગલે મુખ્યમંત્રીએ તાકીદની બેઠક યોજી એલર્ટ રહેવા કલેક્ટરોને સૂચના આપી છે. સંભવતઃ તા.૧૯મીએ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાઇ શકે છે.

અરબી સમુદ્રમાં સાયકલોન સિસ્ટમ ઉદભવી રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ૧૪મીએ થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી શરૂ થશે જેના પગલે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત કેટલાંક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે.દક્ષિણ અને પશ્ચિમ અરબી સમુદ્રમાં એક પ્રેશર સક્રિય થઇ શકે છે.આ લો પ્રેશર એક્ટિવિટી ઉપર હવામાન નજર રાખી રહ્યુ છે. જયારે તા.૧૬મીએ અરબી સમુદ્રમાં વાવાઝોડુ સક્રિય બને તેવી સંભાવના છે. વાવાઝોડુ સક્રિય થયા બાદ કઇ દિશામાં ફંટાશે તે હાલમાં કહી શકાય તેમ નથી પરંતુ તા.૧૯મીએ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે તેવી શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

- text

વાવાઝોડાથી જાન-માલનું નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકારે એકશન પ્લાન ઘડયો છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. સૌરાષ્ટ્ર – કચ્છના દરિયાકાંઠે એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવશે. ગાંધીનગરમાં એક કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવનાર છે જ્યાથી વાવાઝોડા ઉપર સીધી નજર રાખવામાં આવશે. એટલું જ નહીં, કચ્છ-સૌરાષ્ટ્રના કલેક્ટર સહિતના સ્થાનિક તંત્રને જરૂરિયાત મુજબ સીધી સૂચનાઓ પણ અપાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર અને કચ્છના કલેક્ટર સાથે ટેલિફોેનિક ચર્ચા કરી છે. ખાસ કરીને વાવાઝોડાથી નુકશાન ન થાય તેવા પગલાં ભરવા સૂચનાઓ જારી કરાઇ છે. સાથે સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને સાવધાનીના પગલાં લેવા માટે તૈયારીઓ આરંભી દીધી છે. તટરક્ષક દળના જવાનોએ પણ લોકોને દરિયાકાંઠેથી સલામત સ્થળે જવા જણાવ્યુ હતું. આમ,વાવાઝોડાની સંભવિત તબાહીને જોતાં સરકારી તંત્ર સાબદુ બન્યું છે.

- text