હળવદના દેવળીયાથી જેતપરનો માર્ગ અત્યંત બિસ્માર : વાહન ચાલકોને અકસ્માતનો ભય

- text


રોજગારી માટે દરરોજ 400 લોકો અપડાઉન કરતા હોય માર્ગ રીપેર કરવા માંગ

હળવદ: હળવદ તાલુકાના દેવળીયાથી જેતપર સુધીનો રોડ એકદમ ખરાબ હાલતમાં થઈ ગયો હોય જેને કારણે દરરોજ આ રસ્તા પર બાઈક ચાલકો પડતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જેથી વહેલી તકે આ રોડને રીપેરીંગ કરવામાં આવે અથવા તો નવેસરથી બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

હળવદ તાલુકાના દેવળીયાથી જેતપર સુધીનો રોડ એકદમ જર્જરિત હાલતમાં હોવાને કારણે આ રોડ પરથી પસાર થતા વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે. ખાસ કરીને નવા દેવળિયા, જુનાદેવડીયા, સુરવદર, પ્રતાપગઢ સહિતના ગામોના ૪૦૦થી વધુ લોકો સિરામિકમાં કામ કરતા હોય તેને કારણે અપડાઉન કરતા હોય જેને કારણે દરરોજ આ રોડ પર પાંચેક જેટલા બાઈક ચાલકો પડતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

- text

સાથે સાથે રસ્તો એટલો જર્જરિત હાલતમાં થઈ ગયો છે જેને કારણે ખાસ કરીને જ્યારે કોઈ મોટું વાહન આ રોડ ઉપરથી પસાર થાય ત્યારે ઘરેથી નાઈ ધોઈને નીકળેલા બાઇક ચાલકો કામ કરવાના ઠેકાણે પહોંચે ત્યારે ભૂત જેવા બની જતા હોય છે. સાથે જ રોડ પરથી ઊડતી ધૂળ પણ આરોગ્ય માટે ભારે જોખમ સર્જી રહી છે. જેથી, દેવળીયાથી જેતપર સુધીનો સર્જરી થઈ ગયેલો રોડ વહેલી તકે બનાવવામાં આવે તેવી જુનાદેવડીયાના સામાજિક કાર્યકર મનુભાઈ વસાણીયા દ્વારા માંગ કરવામાં આવી છે.

- text