મોરબી : ગ્રીસ સિરામિક ફેકટરીમાં ગોઝારી દુર્ઘટનામાં બે મૃતદેહ નીકળ્યા : હજુ મહિલા દટાયેલ અવસ્થામાં

- text


 

રાજકોટ- મોરબીની ટિમો દ્વારા સતત રેસ્ક્યુ ઓપરેશન જારી : ફેકટરીના ભાગીદારનું મોત

મોરબી: મોરબી નજીક રંગપર ગામે આવેલ ગ્રીસ સિરામિક ફેકટરીમાં સાઈલોનો માચડો તૂટી પડતા સર્જાયેલ ગોઝારી દુર્ઘટનામાં રાતભર રાજકોટ અને મોરબીની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સવારે પાંચ વાગ્યા સુધીમાં બે મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢી શકાયા છે અને હજુ પણ શ્રમિક મહિલાને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન જારી રખાયું છે.

મોરબીના રંગપર નજીક આવેલા ગ્રીસ સીરામીક ફેકટરીમાં ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં માટી ભરેલી ટેન્ક એટલે કે ફેક્ટરીનો સાયલો નામનો હિસ્સો તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં નવીનભાઈ અને કાળીબેન નામના બે કર્મચારીઓને તુરંત બચાવી લેવાયા હતા પરંતુ ફેકટરીના ભાગીદાર, લેબ ટેક્નિશયન અને એક શ્રમિક મહિલા તોતિંગ સાયલો નીચે ફસાય ગયા હોય ત્રણેયને બચાવવા મોરબી તથા રાજકોટની રેસ્ક્યુ ટિમો દ્વારા ઓપરેશન શરૂ કરાયું હતું જે હજુ પણ યથાવત ચાલી રહ્યું છે.

- text

દરમિયાન આજે વહેલી સવારે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ફેકટરીના ભાગીદાર સંજયભાઈ સુંદરજીભાઈ સાણંદીયા ઉ.૫૪,રહે.મોરબીનો મૃતદેહ બહાર કાઢી શકાયો હતો અને બાદમાં સવારે ૮.૨૦ કલાકે ફેકટરીના લેબ ટેક્નિશયન અરવિંદભાઈ અમરસીભાઈ ગામી, રહે.કેશવનગર, જીવાપર વાળાનો મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યો હતો.

મોરબી તાલુકા પોલીસ મથકમાં તપાસનીસ અધિકારી આર.બી.વ્યાસે આ દુર્ઘટના સંદર્ભે જણાવ્યુ હતુ કે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને સરમબેન નામના શ્રમિક મહિલાનો મૃતદેહ હજુ હાથ લાગ્યો ન હોવાનું તેમને જણાવ્યું હતું. આમ, આ ગોઝારી દુર્ઘટનામાં ફેકટરીના ભાગીદાર સહિત ત્રણ- ત્રણ માનવ જિંદગીનો ભોગ લેવાતા મોરબીમાં ચકચાર મચી જવા પામી છે.

- text