મોરબીના શિક્ષકોએ લખેલ પુસ્તકો જિલ્લા શિક્ષણ તાલીમ ભવનને અર્પણ

- text


મોરબી જિલ્લાની સો વર્ષ જૂની સો જેટલી શાળાઓનો ઇતિહાસ આલેખશે શિક્ષકો

મોરબી : સમગ્ર રાજ્યમાં સરકારી શાળાઓની અનોખી છબી આલેખનાર મોરબી જિલ્લાના કર્મઠ શિક્ષકો દ્વારા અનેક બાળવાર્તાના પુસ્તકોનું પણ આલેખન કરાયું હોય, શિક્ષકો લિખિત આ પુસ્તકોને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનને અર્પણ કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લાના કેળવણીના ઇતિહાસ આલેખનને આખરી ઓપ આપવા માટે તમામ તજજ્ઞ લેખકોની મીટીંગ બી.આર.સી. મોરબી ખાતે મળી હતી. જેમાં મોરબી જિલ્લાની સો વર્ષ જૂની સો જેટલી શાળાની માહીતીનું એકત્રિકરણ કરવામાં આવેલ, જેના આધારે મહાનુભાવોની મુલાકાતના આધારે વર્ણનાત્મક શૈલીમાં લોકોને વાંચવામાં રસ પડે એવી શૈલીમાં લેખન કરી હસ્તલિખિત કોપી તૈયાર કરવા માટેની વર્ગ યોજાયો હતો. જેમાં અનેક શિક્ષકોએ ભાગ લઈ શાળાઓના ઇતિહાસનું લેખન કર્યું હતું.

- text

ઇતિહાસ લેખનની સાથે મોરબીના ઘણા બધાં શિક્ષકો સારા લેખકો પણ છે. જેઓ પોતાની ફરજની સાથેસાથે સાહિત્યનું સર્જન કરે છે. જેમાં શૈલેષભાઈ જે. કાલરીયા પ્રિન્સિપાલ ચકમપર પ્રા. શાળાએ અવનવી બાળવાર્તા, ક્ષણોનું સામ્રાજ્ય, એક હતા ચકી બેન, એકડો સાવ સળેકડો, આવ્યો એક મદારી (બાળગીત સંગ્રહ) એમ ચાર પુસ્તકો લખ્યા છે. સંજયભાઈ બાપોદરીયા શિક્ષક શ્રી ગૌશાળા પ્રા. શાળાએ પતંગિયું કેવું મજાનું! પુસ્તક લખ્યું છે. ડૉ. અમૃતલાલ કાંજીયા પ્રિન્સિપાલ લાયન્સનગર પ્રા.શાળાએ પોક મૂકીને હસીએ, અમથા આંટા ફેરા, હાસ્યામૃત એમ ત્રણ પુસ્તકો લખ્યા છે. ભાવેશભાઈ સંઘાણી પ્રિન્સિપાલ છત્તર પ્રા. શાળાએ “સધિયારો” ગઝલ કાવ્ય સંગ્રહ લખ્યો છે. પ્રકાશભાઈ ડી. કુબાવત શિક્ષક શ્રી જીકીયારી પ્રા. શાળાએ બાલપરીની વ્યથા અને બીજી વાર્તાઓ (બાળ વર્તસંગ્રહ) લખ્યો છે.

આ બધા શિક્ષકો પૈકી મોટા ભાગના શિક્ષકોના પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવેલ છે. ઇતિહાસ લેખન તાલીમ વર્ગ દરમ્યાન આ તમામ પુસ્તકો વિશે ચર્ચા થઈ અને બાળ સાહિત્ય હોય બાળકોને કામ આવે એવા હેતુથી આ પુસ્તકો જિલ્લા શિક્ષણ તાલીમ ભવનને અર્પણ કરવામાં આવ્યા હતા. શિક્ષકોની લેખન પ્રવૃત્તિઓને મીનાક્ષીબેન રાવલ પૂર્વ પ્રાચાર્ય ડાયટ રાજકોટ તેમજ પ્રજ્ઞાબેન રાદડિયા લેક્ચરર ડાયટ – રાજકોટ તેમજ દિનેશભાઈ ડી. વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – મોરબીએ બિરદાવી હતી.

- text