પ્રાચીન સંસ્કૃતિનું જતન : મોરબીમાં બે દંપતીએ ઉત્તમ સંતાનપ્રાપ્તિ માટે ગર્ભાધાન સંસ્કાર વિધિ સંપન્ન કરી

- text


મોરબી : સામાન્ય રીતે, વિવાહ થાય પછી દંપતીનો પ્રથમ ઉદેશ્ય એ હોય કે ઉતમ સંતાનપ્રાપ્તિ થાય. તે માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે તપ કરવું પડે. સમાજમાં કહેવાય છે કે માતા-પિતા હોય તેવું જ બાળક આવે. સંસ્કૃતિ એમ કહે છે કે માતા-પિતા તેમના કરતાં પણ શ્રેષ્ઠ બાળકોનો જન્મ આપી શકે છે. માતા-પિતામાં રહેલા દુર્ગુણો દૂર થાય અને બાળકમાં સદગુણ આવે તેના માટે માતા-પિતા બન્યા પહેલા મનશુદ્ધિ માટે ગર્ભાધાન સંસ્કાર કરવામાં આવે છે.

જેમ કે ખેડૂતને સારો પાક જોતો હોય તો તેના માટે ખેતર ખેડે છે. જમીનને પોચી કરે છે. તેમાથી કચરો દૂર કરે છે. અને સારું બિયારણ વાવે છે. ખૂબ પરિશ્રમ કરી અને સારો પાક મેળવે છે. બસ આ જ બાબતોને ધ્યાનમાં રાખી ઉતમ મનુષ્ય નિર્માણ થઈ શકે છે. પ્રાચીન સમયથી ગર્ભાધાન સંસ્કારની પરંપરા પ્રચલિત હતી. પરંતુ વચ્ચેના ગુલામીના અંધકાર યુગમાં આ પરંપરા સ્થગિત થયેલી. વિદ્યાભારતી ઘણા વર્ષોથી આ પરંપરાને પુનર્જીવિત કરવામાં પ્રયત્ન સાથે શિક્ષણકાર્યમાં રત છે.

ત્યારે આજે સરસ્વતી શિશુમંદિરના પ્રાંગણમાં ટ્રસ્ટના મંત્રી જયંતિભાઈ રાજકોટિયાના પુત્ર નિનાદભાઈ તથા પુત્રવધૂ મોનિકાબેન તેમજ શિશુવાટિકાના પ્રધાનાચાર્ય કુંદનબેન ચારોલાના પુત્ર જયભાઇ તથા પુત્રવધૂ શીતલબેનના ગર્ભાધાન સંસ્કાર પરિવારની ઉપસ્થિતિમાં સંપન્ન થયા છે. શનાળા સ્થિત સરસ્વતી શિશુમંદિરના આધ્યાત્મિક વાતાવરણ, ગૌશાળા, ભરતમાતા મંદિર, બાવન શક્તિપીઠ તથા ઔષધિય વૃક્ષોના સાનિધ્યમાં યજ્ઞ કરીને, ગૌમાતાનું પૂજન કરીને, માં ભારતીના દર્શન અને પ્રાર્થના કરી વડીલોના આશીર્વાદ લઈ પ્રસાદગ્રહણ કરી ઉતમ સંતતિનું આહ્વાન કરાયું છે. આમ, હિંદુ પુરાણોમાં દર્શાવેલા સોળ સંસ્કાર પૈકીના ગર્ભધાન સંસ્કાર કરી બંને દંપતીઓએ પ્રાચીન સંસ્કૃતિના જતનનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.

- text

- text