હળવદ હાઈવે પર જાનમાં આવેલી કાર પલ્ટી મારી જતા બેના મોત : ચાર ઇજાગ્રસ્ત

- text


ધાંગધ્રા તાલુકાના રામપરા ગામેથી ઠાકોર સમાજ જાન લઈ કવાડીયા ગામે આવ્યો હતો : લગ્નનો માહોલ માતમમાં છવાયો

હળવદ : આજે બપોરના હળવદ હાઈવે પર આવેલ કવાડિયા ગામના પાટિયા પાસે કાર પલટી મારી જતા તેમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા ધાંગધ્રા તેમજ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ ધાંગધ્રા તાલુકાના રામપરા ગામેથી ઠાકોર સમાજ જાન લઈ હળવદ તાલુકાના કવાડીયા ગામે આજે આવ્યા હતા ત્યારે બપોરના સમયે જાનૈયાઓ કોઈ કામ અર્થે જે કારમાં વરરાજાને બેસાડીને લાવ્યા હતા. તે જ કાર લઈ હળવદ આવ્યા હતા અને હળવદમાં કામ પતાવી પરત કવાડિયા જઈ રહ્યા હતા ત્યારે કવાડીયા ગામના પાટિયા પાસે કાર આડે પશુ ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

વધુમાં, ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને વધુ સારવાર માટે ધાંગધ્રા તેમજ સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કવાડીયા ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં ઘટના સ્થળે જ રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ઝાલા રહે રામપરા અને પ્રવીણભાઈ ઠાકોરનું મોત નીપજ્યું હતું જ્યારે જયંતીભાઈ જગાભાઈ ઠાકોર અને વિષ્ણુભાઈ ઠાકોર ને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ભગાભાઈ ભીખાભાઈ ઠાકોર અને ચંદુભાઈ ગોવિંદભાઈ ઠાકોરને નાની મોટી ઈજાઓ પહોંચતા તેઓને ધાંગધ્રા સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

- text

બનાવની જાણ કવાડીયા ગામે લગ્ન પ્રસંગમાં થતા લગ્નનો માહોલ માતમમા છવાઈ ગયો છે અને ધાંગધ્રા તેમજ હળવદ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા આવી પહોંચ્યા હતા.

- text