હળવદમાં 6 સ્થળ પર “નમામિ દેવી નર્મદે” મહોત્સવ ઉજવાશે

- text


હળવદ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

હળવદ : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમ પહેલી વખત એની ઐતિહાસીક સપાટી પર પહોંચ્યો છે. જેથી તેના વધામણા કરવા સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હળવદમાં જિલ્લા પંચાયત બેઠક દીઠ નમામી દેવી નર્મદાના વધામણા કરવાના કાર્યક્રમના આયોજન અંગે મામલતદાર કચેરી ખાતે, પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ‘માં નર્મદા’ના વધામણા કરવાના કાર્યક્રમની રૂપરેખા બનાવવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત બેઠક દીઠ “નમામી દેવી નર્મદે” મહોત્સવની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયું છે. તેને અનુસંધાને હળવદમાં કુલ 6 સ્થાન પર નર્મદા મહોત્સવનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ચંદ્રગઢ, ભલગામડા, દીઘડિયા, ચરાડવા, ટીકર અને હળવદ શહેરનો સમાવેશ કરાયો છે.

- text

કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે હળવદ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી એચ.જી પટેલ, હળવદ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ, નાયબ મામલતદાર કણઝરીયા, સીડીપીઓ મમતાબેન રાવલ, નર્મદા નહેરના અધિકારીઓ તેમજ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ પટેલ, નરેન્દ્રસિંહ રાણા, રમેશભાઈ ભગત સહિતનાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે કાર્યક્રમના સ્થળ પર મુખ્ય સ્ટેજ, મંડપ, બેઠક વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમ, વૃક્ષારોપણ તેમજ કાર્યક્રમના અંતે ઉજવણીના ભાગરૂપે સૌને પ્રસાદ રૂપે મેઘલાડુ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

- text