- text
ઉદ્યોગપતિ પરિવાર સાથે બહારગામ ફરવા ગયાને પાછળથી તસ્કરોએ ઘર સાફ કરી નાખ્યું
મોરબી : મોરબીમાં બેફામ બનેલા તસ્કરોએ મોટી ચોરીના બનાવને અજામ આપ્યો છે. જેમાં રવાપર રોડ પર રહેતા કારખાનેદારનાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને મકાનમાંથી કુલ રૂ.10.80 લાખની માલમતા ઉસેડી ગયા હતા.જોકે ઉદ્યોગકાર તેમના પરિવાર સાથે બહારગામ ફરવા ગયા હતા અને પાછળથી તસ્કરોએ તેમનું ઘર સાફ કરી નાખ્યું હતું.
- text
આ ચોરીના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સુંદરમ એપાર્ટમેન્ટમાં રહેતા અતુલભાઈ ધરમશીભાઈ અદ્રોજા ઉ.વ.36 નામના વેપારીના તેમના પરિવાર સાથે ગત તા.26ના રોજ સવારે દક્ષિણ ભારતમાં ફરવા ગયા હતા. પાછળથી તેમના બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. તસ્કરોએ તેમના મકાનની બારી તોડી અંદર પ્રવેશીને ફર્નિચરની તિજોરીમાંથી બે સોનાના પાટલા, સોનાની વિટી તથા રૂ.10.30 લાખ રોકડા મળીને કુલ રૂ.10.80 લાખનો મુદામાલ ચોરી કરીને રફુચક્કર થઈ ગયા હતા. દરમ્યાન વેપારી તેમના પરિવાર સાથે દક્ષિણ ભારતથી ગઈકાલે રાત્રે પરત આવ્યા હતા અને મકાનમાં અસ્ત વ્યસ્ત માલ સમાન જોતા ચોકી ઉઠ્યા હતા ઘરમાં તપાસ કરતા રૂ.10.80 લાખના મુદામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું. આથી આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતા એ ડિવિઝન પી.આઈ ચૌધરી સહિતના પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરીને ડોગ સ્ક્વોડ અને ફિગર પ્રિન્ટ તથા એફ.એસ.એલની મદદથી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત શરૂ કરી હતી.
આ બનાવ અંગે ઉદ્યોગપતિ નાનાભાઈ અમિતભાઈએએ ફરિયાદ નોંધાવી છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ઘરફોડીના બનાવો વધી રહ્યા છે. ત્યારે લોકોની કિંમતી માલમતાની સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ તસ્કરો સામે કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
- text