- text
મોટી સંખ્યામાં લોકોએ ઉમટીને બરફના શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી
મોરબી : મોરબીના અર્વાચીન કુબેરનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિતે બરફના શિવલિંગનું નિર્માણ કરાયું હતું. જેના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ૨ હજાર કિલો બરફમાંથી છ ફૂટ ઉંચી અને ત્રણ ફૂટ પહોળી શિવલિંગના હજારો ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મોરબી જિલ્લામા શ્રાવણ માસ નિમેતે ઠેર ઠેર મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે શહેરના અગ્નેશ્વર મહાદેવ,શંકરઆશ્રમ ખાતે આવેલ નીલકંઠ મહાદેવ,રફાળેશ્વર મહાદેવ તેમજ જડેશ્વર મહાદેવ ખાતે આજે શ્રાવણમાસના ત્રીજા સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. જેમાં મોરબી શહેરના મધ્યમાં આવેલ કુબેરનાથ મહાદેવ મંદિર ખાતે કુબેરનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અમરનાથમાં બર્ફાની બાબાને કંડારવાંમાં આવ્યા હતા.જેમાં મહાદેવની શિવલિંગને ૧૦૦કિલોની એક બરફની પાટ એવી બરફની ૨૦ પાટોમાંથી છ ફૂટ ઉંચી અને ત્રણ ફૂટ પહોળી મહાદેવની શિવલિંગ બનાવવામાં આવી હતી.
- text
આ શિવલિંગના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને મોરબી શહેરના ભક્તજનોએ દર્શન અને આરતી કરી ભક્તિભાવ અને પુરી શ્રદ્ધા સાથે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર ઉત્સાહ ભેર ઉજવ્યો હતો આ બરફની શિવલિંગને આકાર આપવામાં કુબેરનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ તેમજ ઉત્સાહી યુવાનોએ આખી રાત જાગીને મહાદેવની શિવલિંગને અદભુત આકારમાં કંડારી હતી જેને જોવા લોકો દૂર દૂર થી ઉમટી પડ્યા હતા.
કુબેરનાથ મંદિરના પૂજારી ગુલાબગીરીના કહેવા મુજબ આ અર્વાચીન કુબેરનાથ મહાદેવમાં લોકોને અતૂટ શ્રદ્ધા છે અને ભગવાન શંકર પણ તેના ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે અને મનવાંચ્છિત ફળ આપે છે એ માટેજ કુબેરનાથ મહાદેવ મંદિર આટલું પ્રચલિત છે જોકે ઘણા દાયકાઓ થી આ મંદિરને મોરબીમાં ખાસ માનવામાં આવે છે ત્યારે એ જ અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ થી આજે ભાવિ ભક્તો એ બરફાની બાબાના દર્શનનો લાભ લીધો હતો.
- text