- text
તસ્કરોએ ત્રણ મકાનોને નિશાન બનાવી ૯ તોલા ઘરેણાં અને રૂ.૪૫ હજારની ચોરી કરી : બનાવને ૨ દિવસ થયા છતાં ફરિયાદ ન લેવાઇ
મોરબી : મોરબીના ઘુંટુ રોડ પર આવેલા હરિઓમ પાર્કમાં બે દિવસ પૂર્વે ત્રણ રહેણાંક મકાનોને તસ્કરોએ નિશાન બનાવી ૯ તોલા ઘરેણાં અને રૂ.૪૫ હજારની ચોરી કરી ગયાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે તેમાના એક ઘરમાલિકે એવો આક્ષેપ કર્યો છે કે ઘણા પ્રયત્ન કર્યા છતાં પોલીસ દ્વારા ચોરી અંગે ફરિયાદની દાખલ કરવામાં આવતી નથી.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ઘુંટુ રોડ પર આવેલા હરિઓમ પાર્કમાં રહેતા રાજેશભાઇ હરિઓમભાઈ કંસારા બે દિવસ પૂર્વે અગાસી પર સુતા હતા ત્યારે ઘરમાં તસ્કરો હાથ સાફ કરી ગયા હતા.તસ્કરોએ તેમના ઘરનું તાળું તોડી ૭ તોલા ઘરેણાં અને રૂ.૧૦ હજાર રોકડાની ચોરી કરી હતી.
આ ઉપરાંત તે જ સોસાયટીના બીજા બે મકાનોને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જેમના એક મકાનમાંથી તસ્કરોએ ૨ તોલા સોનુ અને રૂ.૩૫ હજાર રોકડની ચોરી કરી હતી. રાજેશભાઇના જણાવ્યા મુજબ તેઓના ઘરમાં ચોરી થઈ છે તે અંગે તેઓ પોલીસ ફરિયાદ દાખલ કરાવવા ગયા હતા પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી.
- text
જયારે મોરબીમાં તસ્કરોનો તરખાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના છેવાડા આવેલા વિસ્તારોમાં ચોરીની વારંવાર ઘટના બને છે. આવી ઘટના બાદ ફરિયાદ લેવામાં પોલીસ તંત્રની આળશના કારણે તસ્કરોને વધુ બળ મળે છે. ત્યારે ચોરીની ઘટનાને પોલીસ તંત્ર ગંભીરતા પૂર્વક લઇ આ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે.
- text