મોરબીમાં આવાસ યોજના લાભાર્થીઓને શાળા – બગીચા સહિતની સુવિધા

- text


શનાળા બાયપાસ નજીક પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૪૯૦ આવાસોનો લાભાર્થીઓના હસ્તે ડ્રો યોજાયો

મોરબી : મોરબીના શનાળા બાયપાસ નજીક નિર્માણ પામેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૪૯૦ આવસોનો ડ્રો યોજાયો હતો જેમાં પાલિકા સતાધીશો દ્વારા આવાસ યોજનનાના રહેવાસીઓને આંગણવાડી, શાળા, આરોગ્યકેન્દ્ર, અને બગીચા સહિતની સુવિધા આપવા જાહેરાત કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં ગરીબ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નગરપાલિકા દ્વારા આવાસો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં આવાસો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૦૨૨ સુધીમાં રૂ. ૬૭.૭૭ કરોડના ખર્ચે ૧૬૦૦ આવાસો બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.જેમાંથી શનાળા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ૬૮૦ આવાસો બનાવવાની યોજના હાથ ધરાતાં આ યોજના અંતર્ગત ૪૯૦ આવાસો તૈયાર થઈ જતા નગરપાલિકા દ્વારા યોજનાના લાભાર્થીઓના હસ્તે ડ્રો યોજવામાં આવ્યો હતો.

- text

આ તકે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પાલિકા પ્રમુખ ગીતાબેન કણઝારીયા, કારોબારી ચેરમેન જયરાજસિંહ જાડેજા, ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા તેમજ કાઉન્સિલરો અને આવાસ યોજનના લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આવાસ યોજનાના કોમ્પ્યુટરાઈઝ ડ્રો બાદ માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લાભાર્થીઓને અહીં આંગણવાડી, શાળા, આરોગ્યકેન્દ્ર અને બગીચા સહિતની સુવિધા આપવાની જાહેરાત કરી અહીં રહેવા આવ્યા બાદ સૌ કિઈને હળી-મળીને રહેવા ટકોર કરી હતી.

ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે મોરબીમાં કુલ ૨૧૦૦ આવાસ યોજના બનાવવા દરખાસ્ત કરવામાં આવી હતી અને ૧૬૦૦ આવાસ બનાવવા મંજૂરી મળી હોવાનું જણાવી તબક્કાવાર ગરીબ લાભાર્થીઓને ઘરનું ઘર આપવામાં આવશે તેમ જણાવી લાભાર્થીઓ માટે લોનની પણ સુવિધા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

 

- text