- text
આજુ બાજુમાં કોઈએ કચરો સળગાવ્યા હોવાના કારણે ઘરમાં આગ લાગી હોવાની શકયતા
મોરબી : મોરબીમાં પારેખ શેરીમાં એક બંધ મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જો કે આ મકાનની શેરી સાંકળી હોવાથી ફાયર વિભાગની ટીમે માંડ આગ બુઝાવી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી.
ફાયર વિભાગના દેવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે આજે રાતના અરસામાં ગ્રીન ચોક વિસ્તારમાં પારેખ શેરીમાં આવેલ નાની શેરીના એક બંધ મકાનમાં આગ લાગી હતી. જે અંગે જાણ થતા ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
આ શેરી સાંકળી હોય, ફાયર વિભાગે ખાસ તેનું યોદ્ધા નામનું વાહન મેદાનમાં ઉતાર્યું હતું. આ વાહન પણ ઘર સુધી પહોંચી શક્યું ન હતું. જો કે બાદમાં આજુબાજુના લોકોની મદદથી નળી લંબાવી ફાયર વિભાગની ટીમે મહામહેનતે આ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
વધુમાં પાડોશીઓના જણાવ્યા પ્રમાણે આજુબાજુમાં કોઈએ કચરો સળગાવ્યો હોવાના કારણે આ આગ લાગી હોવાની શકયતા છે. તો બીજી તરફ આગ લાગી તે મકાનની પાડોશમાં ગાયો બાંધેલી હોય, ગાયોને છૂટી મૂકી દેવામાં આવી હતી.
- text
- text