મુકો લાપસીનાં આંધણ ! આખરે મોરબી મહાનગર પાલિકા બનાવવાની બજેટમાં જાહેરાત

મોરબી, નવસારી, ગાંધીધામ, વાપી, સુરેન્દ્રનગર, આણંદ અને મહેસાણા સહિત સાત મહાનગર પાલિકા બનશે 

મોરબી : સીરામીક ઉદ્યોગને કારણે વિશ્વભરમાં નામના ધરાવતા મોરબી શહેરમાં દાયકાઓ જૂની નગરપાલિકા સિસ્ટમનો પન્નો ટૂંકો પડી રહ્યો હોય છેલ્લા દોઢેક વર્ષથી મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા ઝુંબેશ શરૂ થઇ હતી જે ઝુંબેશ અંતે રંગ લાવી છે અને આજે ગુજરાત સરકારના વર્ષ 2023-24ના બજેટ મોરબી, નવસારી, ગાંધીધામ, વાપી, સુરેન્દ્રનગર, આણંદ અને મહેસાણા સહિતના સાત શહેરોને મહાનગર પાલિકા બનાવવા સરકારે જાહેરાત કરી છે.

સીરામીક ઉદ્યોગને કારણે દિવસ રાત કુદકેને ભૂસકે વિકસી રહેલા મોરબી શહેરને મોરબી જિલ્લો બન્યા બાદ પણ જોઈએ તેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન મળતા નાગરિકોને પાણી, સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ ન મળવાની સાથે સાંકડા રસ્તાઓને કારણે ટ્રાફિક સમસ્યા વિકરાળ બનતા છેલ્લા દોઢેક વર્ષથી મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા માંગ ઉઠી હતી જેને મોરબીના ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓએ પણ સ્વીકારી સરકારમાં હકારાત્મક રજુઆત કરી હતી. દરમિયાન આજે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા રાજ્યના વર્ષ 2024-25ના બેજેટમાં મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે તેવી જાહેરાત કરતા મોરબીને મહત્વની ભેટ મળી છે.

વધુમાં ગુજરાત સરકાર દ્વારા મોરબી ઉપરાંત નવસારી, ગાંધીધામ, વાપી, સુરેન્દ્રનગર, આણંદ અને મહેસાણા સહિત અન્ય સાત શહેરોને પણ નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપવા જાહેરાત કરી છે, આમ ગુજરાત સરકારે મોરબી માટે આજે રાજ્યના બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાત કરતા મોરબીવાસીઓમાં ખુશીની લહેર દોડી ઉઠી છે અને હવે શહેરના સમતોલ વિકાસની સાથે ટ્રાફિક સહિતની સમસ્યાનો અંત આવશે તેવી આશા બંધાઈ છે.