મોરબીમાં પ્રથમ અંગદાન ! કચ્છના બ્રેઇન ડેડ શિવમે પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું

મોરબીથી ગ્રીન કોરિડોર મારફતે ફેફસા, કિડની સહિતના અંગો અમદાવાદ પહોંચાડવામાં આવશે

મોરબી : મોરબી જિલ્લામાં આજે અંગદાનનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. અહીંનું આયુષ હોસ્પિટલમાં કચ્છના શિવમ ખાસા નામના 15 વર્ષના બાળકને બ્રેઇન્ડેડ જાહેર કરાયા બાદ માતાપિતા સહિતના પરિવારજનોએ ઉમદા નિર્ણય લઈ અંગદાન કરવા નિર્ણય કરતા આજે શિવમે અન્ય પાંચ લોકોને નવજીવન આપ્યું છે. અંગદાન બાદ કિડની અને ફેફસા સહિતના પાંચ અંગોને ગ્રીન કોરીડોર મારફતે અમદાવાદ પહોંચાડવા મોરબી પોલીસે પણ વહેલી સવારથી કાબિલે દાદ કામગીરી કરી હતી.

આજનો દિવસ મોરબી માટે ઐતિહાસિક અને ગૌરવવંતો બન્યો છે. તારીખ 24 જાન્યુ. 2024ની આજની વહેલી સવારે મોરબીની આયુષ મલ્ટી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે જિલ્લાનું પ્રથમ અંગદાન કરવામાં આવ્યું છે. મૂળ કચ્છના ભુજ તાલુકાના જીકડી ગામના ખેડૂત રમેશભાઈ ખાસાના વ્હાલસોયા પુત્ર શિવમ ઉ.15ને મગજની બીમારીના કારણે આઠ દિવસ પહેલા મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેઓને ડૉ. મિલન મકવાણા , ડૉ. દર્શન પરમાર, ડૉ. અમિત ડોડીયા, ડૉ. નિમેશ જૈન, ડૉ. ઉત્તમ પેઢડિયા, ડૉ. વિજય મકવાણા સહિતના ડોકટરોની ટીમ દ્વારા અદ્યતન સારવાર બાદ ડૉ મિલન મકવાણા ( ન્યુરો સર્જન) દ્વારા બ્રેનડેડ જાહેર કરાયા હતા.

ત્યારબાદ બ્રેઇનડેડ શિવમ ખાસાના પરિવારજનોને ડૉ. દર્શન પરમાર, ડૉ મિલન મકવાણા, ડૉ અમિત ડોડીયાએ અંગોનું દાન કરવા માટેની માહિતી સમજાવી હતી અને સેવાભાવી એવા આહીર પરિવારે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દીકરા શિવમને અનેક જીવમાં જીવતો રાખવા માટે સહમતી આપી હતી પરિવારના સભ્યો રમેશભાઈ ગોપાલભાઈ ખાસા (પિતા), કંકુબેન રમેશભાઈ ખાસા (માતા), રીનાબેન (બહેન), રિતેશભાઈ(મોટાભાઈ) , માવજીભાઈ અને હરિભાઈ (મોટા બાપા) તેમજ સુરેશભાઈ કારાભાઈ ખાસા, માવજીભાઈ કરશનભાઈ આહીર, નારાણભાઈ શિવજીભાઈ કોવાડિયા, માવજીભાઈ પુનાભાઈ ખાસા, હરિ કાનજીભાઈ ખાસા, બાબુભાઈ કાનજીભાઈ ગાગલ દ્વારા શિવમના અંગદાન માટે સહમતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, આપણા ભારત દેશમાં અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં માણસનાં મૃત્યુ પછી ચક્ષુદાન, અંગદાન કે દેહદાન કરવાની જાગૃતતા ખુબ ઓછી છે. ક્યાંક સામાજિક કે ધાર્મિક બંધનોમાં રહીને વ્યક્તિના અંગદાનની કોઈ પહેલ કરતું નથી. મૃત્યુ પછી શરીર નીશ્ચેતન બની જાય છે. આવા સમયે શરીરમાં રહેલા અંગો કીડની, લીવર, હાર્ટ , ફેફસા વગેરે અંગોના ફેલ્યોર વાળા દર્દીઓને નવી જિંદગી આપી શકે છે. કોઈ બીમાર કે નિ:સહાય વ્યક્તિને કામ આવી શકે છે. ધારો કે કોઈ વ્યક્તિ અંધ છે અને અન્ય વ્યક્તિનું મૃત્યુ થયા પછી કે પહેલા એણે ચક્ષુદાનનું સંકલ્પ પત્ર ભરેલું છે તો તેની આંખો લઈને અંધ વ્યક્તિ ને આપવામાં આવે છે. જે વ્યક્તિ અંધ છે, જેણે આજ સુધી દુનિયા જોઈ જ નથી તે કોઈ મૃત્યુ પામેલ વ્યક્તતની આંખો થકી દુનિયાને જોઈ શકે છે. એજ રીતે અંગદાનમાં કોઈ વ્યક્તિનું બ્રેઈન ડેડ થઈ ગયું હોય પણ તેનાં સમગ્ર અંગો કાર્ય કરતા હોય તો તેનું હ્રદય, બંને કીડની, લીવર, ફેફસાં, પેન્ક્રીયાસ વગેરેનું દાન કરવામાં આવે છે અને કોઈ બીમાર વ્યક્તિ કે જેના આ અંગોમાં કોઈ ખામી હોય અથવા આ અંગો નબળા પડી ગયા હોય તો તેનું ટ્રાન્સપ્લાન્ટ કરીને તે વ્યક્તિ ને કોઈ મોટી બીમારી કે બીમારીનાં કારણે અકાળે થતાં મૃત્યુ થી બચી શકે છે.

અંગદાન જાગૃતિ અંગે આજથી એક મહિના પહેલા અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખની હાજરીમાં આયુષ હોસ્પિટલ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના ડોકટરો અને આયુષ હોસ્પિટલના તમામ ડોકટરો અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો તેના પરિણામ સ્વરૂપ આજરોજ મોરબી જિલ્લાની કોઈ હોસ્પિટલમાં પ્રથમ કહી શકાય તેવું અંગદાન શક્ય બન્યું છે અને અંગદાનના પ્રથમ કિસ્સામાં શિવમભાઈની બન્ને કિડનીનું દાન SOTTO ખાતેથી ફાળવવામાં આવેલ છે અને ફેફસાં તથા લીવરનું દાન KD હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે.

અંગોનું રીટ્રાઇવલ માટે KD હોસ્પિટલના નિષ્ણાંત તબીબો ડૉ.અમિત શાહ , ડૉ. હાર્દિક યાદવ , ડૉ. મહેશ બી એન , ડૉ. રીતેશ પટેલ સહિત ટીમના ડોકટરોએ જહેમત ઉઠાવી હતી જેનું સંકલન નીખીલભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું દાન થયેલ અંગો સરળતાથી અમદાવાદ પહોંચી શકે તે માટે મોરબી પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના થી પી.આઇ વી.એમ.લગારિયાની ટીમ દ્વારા વહેલી સવારથી ગ્રીન કોરીડોર મારફતે અમદાવાદ પહોચાડવામાં આવેલ છે આ તમામ પ્રક્રિયામાં આયુષ હોસ્પિટલના સમગ્ર સ્ટાફ મિત્રોએ ખુબ જ સારો પરિશ્રમ કરી સહકાર આપેલ હતો.

આજના અંગદાન સમયે ભુજથી અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ (દાદા), રાજકોટથી ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલી, આરએસએસના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉ.જયંતીભાઈ ભાડેસિયા, નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઇઝેશન જિલ્લા પ્રમુખ ડૉ વિજયભાઈ ગઢિયા, આયુષ હોસ્પિટલના ડાયરેકટર ડૉ ચેતન અઘારા, આહીર પરિવારના સ્નેહી ગણપતભાઈ રાજગોર , સામાજિક કાર્યકર્તા હર્ષિતભાઈ કાવર અને તપનભાઈ દવે સહિતનાઓએ પરિવારને સહહ્રદય સાંત્વના પાઠવી હતી.