લજાઈ પાસે નવનિર્મિત અત્યાધુનિક ઉમિયા માનવ મંદિરનું 22મીએ ઉદઘાટન

- text


ઉમિયા માનવ મંદિરમાં કડવા પાટીદાર પરિવારના દીકરા વગરના નિરાધાર વૃદ્ધોની થશે પધરામણી

મોરબી : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ પાસે ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં અત્યાધુનિક ઉમિયા માનવ મંદિરનું 22 જાન્યુઆરીના રોજ ઉદઘાટન કરવામાં આવશે.

મોરબી જિલ્લાના કડવા પાટીદાર પરિવારના 274 જેટલા નિરાધાર દરિદ્રનારાયણો માટે 4 જુલાઈ 2019 થી 80 જેટલા રૂમ ધરાવતું ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ વાળું ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉમિયા માનવ મંદિર નિર્માણાધિન હતું. જેમાં દરેક રૂમમાં એ.સી., એ.સી. પ્રાર્થના હોલ જેમાં વડીલોને સત્સંગ કથા સાંભળવા માટે મોટી એલઈડી સ્ક્રીન, અન્નપૂર્ણા હોલમાં વડીલોને ભાવતા ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા, બે લાખ લિટર વરસાદી પાણીનો સંગ્રહ કરી દરિદ્રનારાયણોને પીવા માટેની બેનમૂન વ્યવસ્થા, કેમપ્સમાં જ ઉગાડેલા વાવેલા શાકભાજી, ફળ-ફલાદી પુરા પડવાની વ્યવસ્થા તેમજ કેમ્પસની ગૌશાળામાંથી જ છાસ, ઘી, દૂધ વગેરે પુરા પડવાની ઉત્તમ વ્યવસ્થા, પાંચ હજાર વૃક્ષો ધરાવતું સરોવરના કિનારે ત્રીસ વિઘા જમીનમાં પંદર કરોડ રૂપિયાથી વધુ બજેટમાં તૈયાર થયેલા ઉમિયા માનવ મંદિરમાં કડવા પાટીદાર પરિવારના 274 જેટલા દરિદ્રનારાયણોની સંતો, મહંતો, સમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓની ઉપસ્થિતમાં અયોધ્યા ખાતે મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે ઉમિયા માનવ મંદિરમાં દરિદ્રનારાયણોની પધરામણી આગામી 22મી જાન્યુઆરી- 2024ના રોજ કરવામાં આવશે.

આ પંચામૃત સમારોહમાં માનવ મંદિર ઉમાભવન, અન્નપૂર્ણા ભવન, પાટીદાર પાર્ટીપ્લોટનું લોકાર્પણ અને દાતાઓનું ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવશે. આ સમારોહના અધ્યક્ષ તરીકે ઊંઝા ઉમિયાધામના પ્રમુખ બાબુલાલ જમનાદાસ પટેલ હાજરી આપશે. દીપ પ્રજ્વલન માનવ મંદિરના મુખ્ય દાતા ડી.એલ.રંગપરિયા દ્વારા થશે. ઉંઝા અને સિદસર ધામના સમાજ શ્રેષ્ઠીઓ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. સતધામના સંત, સ્વામી પ્રેમપ્રકાસદાસજી સંસ્કારધામ-મોરબી, સંત દામજી ભગત, સંત સોહમદતબાપુ-ભીમનાથ મંદિર વગેરે આશીર્વચન આપવા પધારશે. મોરબી પંથકની અગ્રણી રાજકીય હસ્તીઓ, ઉદ્યોગકારો, એસોસિએશનના હોદેદારો, સમાજના શ્રેષ્ઠીઓ, પાટીદાર સંસ્થાઓના સૂત્રધારો ઉપસ્થિત રહેશે તેમ ઉમિયા માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પોપટભાઈ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલાની યાદીમાં જણાવાયું છે.

- text

- text