આજે સફલા એકાદશી : ચંપનવતીના રાજા મહિષ્‍મતના પુત્રથી અનાયાસ વ્રત થઈ ગયું અને તેને રાજ્ય અને પુત્રની પ્રાપ્તિ થઈ

મોરબી : હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું મહત્વ છે. એકાદશી દર મહિનામાં બે વાર આવે છે. એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે. એક શુક્લ પક્ષમાં અને એક કૃષ્ણ પક્ષમાં. જેમ શેષનાગ શ્રેષ્ઠ છે, સર્વ પક્ષી સમુદાયમાં ગરૂડ શ્રેષ્ઠ છે, યજ્ઞોમાં અશ્ર્વમેઘ યજ્ઞનો અગ્રતાક્રમ છે, દેવોમાં વિષ્ણુ શ્રેષ્ઠ છે, મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, એ પ્રકારે સર્વ વ્રતોમાં એકાદશી વ્રત શ્રેષ્ઠ વ્રત છે. કહેવાય છે કે એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. હિન્દુ પંચાંગ મુજબ પોષ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને સફલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. તેમજ ગુજરાતી પંચાંગ મુજબ સફલા એકાદશી માગશર વદ અગિયારસની તિથિએ આજે છે. સફલા એકાદશીના અધિષ્ઠાતા દેવ શ્રી નારાયણ છે.

સફલા એકાદશીની કથા

ચંપનવતી નામનું એક વિખ્‍યાત નગર કે જે પહેલાં રાજા મહિષ્‍મતની રાજધાની હતી. રાજર્ષિ મહિષ્‍મનના પાંચ પુત્રો હતો. જેમાં જે મોટો હતો તે સદાય પાપ કર્મમાં જ રત રહેતો હતો. એણે પોતાના પિતાના ધનનો પાપ કર્મમાં જ ખર્ચ કર્યો હતો. પોતાના પુત્રને આવો પાપાચારી જોઇને રાજા મહિષ્‍મતે રાજકુમારોમાં એનું નામ લુંભક રાખી દીધુ પછી પિતા અને ભાઇઓએ મળીને એને રાજયમાંથી બહાર કાઢી મૂકયો. લુંભક ગાઢ જંગલમાં ચાલ્‍યો ગયો. ત્‍યાં જ રહીને એણે નગરમાંનું ઘણું ખરું ધન લૂંટી લીધું.

એક દિવસ જયારે એ રાત્રે ચોરી કરવા નગરમાં આવ્‍યો ત્‍યારે ચોકીદારોએ એને પકડી લીધો. પરંતુ જયારે એણે કહ્યું કે હું રાજા મહિષ્‍મતનો પુત્ર છું, ત્‍યારે ચોકીદારોએ એને છોડી મૂકયો. પછી એ વનમાં પાછો આવ્‍યો એને માંસ અને ફળો ખાઇને જીવનનિર્વાહ કરવા લાગ્‍યો. એનું વિશ્રામસ્‍થાન એક પીપળાના વૃક્ષ પાસે હતું. ત્‍યાં ઘણા વર્ષોનું જૂનું પીપળાનું વૃક્ષ હતું. એ વૃક્ષને એક મહાન દેવ માનવામાં આવતું હતું. લુંભક ત્‍યાં જ રહેતો હતો.

એક દિવસે સંચિત પૂણ્યના કારણે એના દ્વારા એકાદશીના વ્રતનું પાલન થઇ ગયું. માગશર માસના કૃષ્‍ણ પક્ષની દસમીના દિવસે પાપી લુંભકે ફળ ખાધા અને વસ્‍ત્રહીન હોવાને કારણે રાત ભર ઠંડીમાં ઠુંઠવાતો રહ્યો. એ નિષ્‍પ્રાણ જેવો થઇ ગયો. સૂર્યોદય થવા છતાં એ ભાનમાં ન આવ્‍યો. સફલા એકાદશીના દિવસે પણ બેભાન પડયો રહ્યો. બપોરે એને ભાન આવ્‍યું ત્‍યારે ઊભો થઇને આમ તેમ જોતો લંગડાની જેમ લથડિયા ખાતો વનમાં અંદર ગયો. એ ભૂખને કારણે દુર્બળ અને પીડિત થઇ રહ્યો હતો. જયારે લુંભક ઘણા બધા ફળો લઇને વિશ્રામસ્‍થાને આવ્‍યો ત્‍યાં સુધીમાં સૂર્યોદય અસ્‍ત થઇ ગયો હતો. ત્‍યારે એ પીપળાને ફળ અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્‍મીપતિ ભગવાન વિષ્‍ણુ સંતુષ્‍ટ થાય! આમ કહીને લુંભત રાતભર ઉંઘ્યો નહિંફ આ પ્રમાણે અનાયાસે જ એણે આ વ્રતનું પાલન કરી લીધું.

એ સમયે આકાશવાણી થઇઃ “રાજનકુમાર! તું સફલા એકાદશીના પ્રસાદથી રાજય અને પુત્ર પ્રાપ્‍ત કરીશ.” “ઘણું સારુ!” કહીને એણે વરદાન સ્‍વીકારી લીધું. ત્‍યાર પછી એનું રુપ દિવ્‍ય થઇ ગયું અને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્‍ણુના ભજનમાં લાગી ગઇ. દિવ્‍ય આભુષણોની શોભાની સંપન્‍ન થઇને એણે નિષ્‍કંટક રાજય પ્રાપ્‍ત કર્યું અને પંદર વર્ષ સુધી એ રાજય કરતો રહ્યો. એને મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્‍તી થઇ. જયારે પુત્ર મોટો થયો ત્‍યારે લુંભકે તરત રાજયની મમતા છોડીને રાજય પુત્રને સોંપી દીધુ, અને એ ભગવાન શ્રીકૃષ્‍ણના ચરણોમાં પહોંચી ગયો કે જયાં જઇને મનુષ્‍ય કયારેય શોકમાં નથી પડતો.