મેથીપાક, અડદિયાપાક, ખજૂરપાક,  અંજીરપાક, સિંગની ચીકી, તલના લાડુ, કાટલું જેવા વસાણાની મોસમ એટલે શિયાળો

- text


શિયાળામાં વસાણાંનું સેવન કરવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે સાથે જ ઠંડીથી રક્ષણ પણ મળે છે

મોરબી : ઠંડીનો માહોલ હવે ધીરે ધીરે જામવા લાગ્યો છે. લોકો પણ થોડા દિવસોથી ઠંડકનો અહેસાસ કરવા લાગ્યા છે. શિયાળાની શરૂઆતની સાથે દર વર્ષની જેમ ઠંડીમાં સ્વાસ્થ્ય જળવાઇ રહે અને શરીરમાં ગરમીનું પ્રમાણ બની રહે તે માટે શિયાળાની શરૂઆત થતાં જ લોકો અનોખાં વસાણાં બનાવવા લાગે છે. હવે ઘણા લોકો વસાણા બહારથી લેવાનું પસંદ કરે છે. હજુ પણ જેના ઘરમાં વડીલો છે તેઓ તો આજે પણ જાતે જ વસાણાં બનાવે છે.

શિયાળો આરોગ્ય અને શક્તિનો સંચય કરવાની ઋતુ છે. શિયાળામાં એવો ખોરાક લેવો જોઇએ કે જેથી ઉનાળા અને ચોમાસાની ઋતુઓમાં પણ શારીરિક સુખાકારી જળવાઈ રહે. શિયાળાની ઋતુમા વસાણાંનું સેવન કરવાથી શરીરમાં સ્ફ્રૂતિ આવે છે સાથે જ ઠંડીથી રક્ષણ પણ મળે છે. તંદુરસ્તીની દષ્ટિએ શિયાળો સ્વાસ્થ્ય માટે સૌથી સારી ઋતુ માનવામાં આવે છે.

સ્વાસ્થ સારું બનાવવા જુદા-જુદા ઉપાયો પણ લોકો કરતા હોય છે. જેમાં વસાણાં ઉત્તમ ગણવામાં આવે છે. શિયાળામાં ખાસ ખાવામાં આવતી જુદી-જુદી વાનગીઓ એટલે શિયાળુ પાક. જેમાં મેથીપાક, સાલમપાક, અડદિયાપાક, ખજૂરપાક, ગુંદરપાક, અખરોટપાક, આદુપાક, અંજીરપાક, ગોળના લાડુ, મિક્સ ડ્રાયફ્રૂટ પાક, સૂંઠપાક, સિંગપાક, કાળા અને સફેદ તલના લાડુ વગેરે જેવા અનેક પાકનો સમાવેશ થાય છે.

વસાણાના ફાયદા

1. મેથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મેથી એક એવી વસ્તુ છે જે શરીરને રોગ મુક્ત કરે છે. મેથી ખાવામાં કડવી હોય છે પરંતુ તેના ગુણ મીઠા હોય છે. મેથીનો પાક બનવાવામાં આવે તો તેનો સ્વાદ કંઈક અલગ જ હોય છે.

2. મરી, સૂંઠ, તજ, લવિંગ, તેજાના વગેરે  જેવાં ઔષધિય તત્ત્વોના  ઉપયોગથી બનતી વાનગીઓને આપણે શિયાળુ પાક તરીકે ઓળખીએ છીએ.

3. શિયાળાના ત્રણ મહિનામાં સુખડી ખાવી શરીર માટે સારી છે અને સુખડીમાં ગોળ અને ઘીનું પ્રમાણ વધારે રાખવું જોઇએ. જેથી નાનાં બાળકોને ઠંડીથી રક્ષણ મળે જ પરંતુ એ સિવાય પણ બીજાં વિટામિન મળી રહે છે.

- text

4. શિયાળા દરમિયાન સૌથી વધુ ડિમાન્ડ સાલમપાકની રહે છે. કારણ કે સાલમપાક આયુર્વેદિક દૃષ્ટિએ શરીર માટે ખૂબ જ સારો છે. સાલમપાકમાં વિવિધ તેજાનાની સાથે કેસર પણ હોય છે. જે શિયાળામાં ઠંડીની સામે રક્ષણ આપે છે અને બોડી ટેમ્પરેચર જળવાઇ રહે છે.

5. મેથી પાક, ગુંદર પાક, ખજૂર પાક, અડદિયાંનું સેવન પણ શિયાળમાં લાભદાયી પુરવાર થઇ શકે છે. આ ઉપરાંત કચરિયું, તલની ચીકી, તલ પાક, મગફળી પાક, દાળિયા પાક, તલ-મમરાના લાડુ, કાટલું, બત્રીસું

વસાણું પણ હેલ્થ માટે લાભદાયી સાબિત થાય છે.

6. ચીકી મુખ્યત્વે સિંગદાણા, તલ અને દાળિયાની  બને છે. ચીકીમાં મોટા ભાગે ગોળ ઉમેરાય છે. ડ્રાયફ્રૂટ, કાજુ, બદામ, દ્રાક્ષ, ખજૂરની  ચીકીનું સેવન પણ શિયાળામાં લાભદાયી બને છે.

- text