મોરબીમાં વેપારી પાસેથી 45 ટકા સુધીનું માસિક વ્યાજ વસૂલવા પઠાણી ઉઘરાણી કરતા 22 સામે ગુનો દાખલ

- text


કાપડના વેપારીએ 1.67 કરોડ રૂપિયા અઢીથી 45 ટકા સુધીના વ્યાજે લીધા બાદ કોરા ચેક, પ્રોમીસરી નોટ, મકાનનો દસ્તાવેજ તેમજ વાહનની આરસી બુક બળજબરી પૂર્વક લઇ લીધી

મોરબી : મોરબીમાં કાપડના વેપારી પાસેથી રૂ.૧.૬૭ કરોડના અઢીથી લઈ ૪૫ ટકા સુધીનું ચામડાતોડ વ્યાજ વસુલવા પઠાણી ઉઘરાણી કરતા ૨૨ લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના રવાપર ધુનડા રોડ પર શિવમ પેલેસમાં રહેતા નીલ ભૂપતરાય પોપટે મોરબી એ ડીવીઝન પોલીસમાં ૨૨ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયું છે કે આરોપીઓએ અલગ અલગ સમયે વ્યાજની પઠાણી ઉધરાણી કરી સહી વાળા કોરા ચેક, પ્રોમીસરી નોટ તથા લખાણ લખવી, મકાનનો દસ્તાવેજ બળજબરી પૂર્વક કરાવી લઇ તેમજ વાહનની આરસી બુક બળજબરી પૂર્વક લઇ લીધી છે અને વધુ રૂપિયાની અવારનવાર પઠાણી ઉધરાણી કરી ટાટીયા ભાંગી નાખવાની ધમકી અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

- text

ફરિયાદમાં જણાવાયું કે ફરિયાદી નીલભાઈ વસંત પ્લોટ ખાતે લાભ ટ્રેડસ નામથી કપડાનો વ્યવસાય કરે છે અને તેને ધંધામાં રૂપિયાની જરૂર પડતા આશરે આઠેક વર્ષ પહેલા તેના મિત્ર હિરેનભાઈ પોપટ મારફત કૈલાશભાઈ સોમૈયા પાસેથી ૨૫,૦૦,૦૦૦ અઢી ટકા વ્યાજે, યુનુસભાઈ સુમરા પાસેથી ૫,૫૦,૦૦૦ રૂપિયા ૩૦ ટકાના વ્યાજે, રવિ આહીર પાસેથી ૩,૦૦,૦૦૦ રૂપિયા ૪૫ ટકાના વ્યાજે, કુશલ ભલા પાસેથી ૩૦ ટકા વ્યાજે ૧,૦૦,૦૦૦, હાર્દિક મકવાણા પાસેથી ૪૦ ટકા વ્યાજે ૫૦,૦૦૦, રાજુભાઈ ડાંગર પાસેથી ૭ ટકા વ્યાજે ૨,૦૦,૦૦૦, રામદેવસિંહ જાડેજા પાસેથી ૮ ટકા વ્યાજે ૫,૦૦,૦૦૦, સનીભાઈ પાસેથી ૪ ટકા વ્યાજે ૩,૫૦,૦૦૦, અલ્કેશભાઈ કોટક પાસેથી ૧૦ ટકા વ્યાજે 3,૦૦,૦૦૦, ભાવેશભાઈ શેઠ પાસેથી ૧.૫ ટકા વ્યાજે ૪,૫૦,૦૦૦, નવીનભાઈ માખીજા પાસેથી 3 ટકા વ્યાજે ૨૦,૦૦,૦૦૦, મોસીનભાઈ માંકડિયા પાસેથી ૧૦ ટકા વ્યાજે ૫,૦૦,૦૦૦, કાનાભાઈ ડાંગર પાસેથી ૪ ટકા વ્યાજે ૪,૫૦,૦૦૦, મહેશભાઈ પાસેથી ૨ ટકા વ્યાજે ૬,૫૦,૦૦૦, ભરતભાઈ કોટેચા પાસેથી ૨ ટકા વ્યાજે ૫,૦૦,૦૦૦, પરેશભાઈ કચોરીયા પાસેથી ત્રણ ટકા વ્યાજે ૧૨,૦૦,૦૦૦, કેતનભાઈ પટેલ પાસેથી ૭.૫ ટકા વ્યાજે ૧૬,૫૦,૦૦૦, મહેશભાઈ ચારોલા પાસેથી ૨ ટકા વ્યાજે ૩૦,૦૦,૦૦૦, અશ્વિનસિંહ ઝાલા પાસેથી ૪.૫ ટકા વ્યાજે ૭,૦૦,૦૦૦ , નીલેશભાઈ કેસરિયા પાસેથી ૨ ટકા વ્યાજે ૩,૦૦,૦૦૦, હિરેનભાઈ પોપટ મારફત દેવાંગભાઈ પાસેથી ૨,૦૦,૦૦૦ રૂપિયા ૬૦૦ના દૈનિક વ્યાજ લેખે અને સમીરભાઈ પંડ્યા પાસેથી ૪.૫ ટકા વ્યાજે ૨,૫૦,૦૦૦ વ્યાજે લીધેલા હતા.

આ ફરિયાદના આધારે પોલીસે ઉપરોક્ત 22 સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

- text