જય બજરંગબલી ! સાળંગપુરમાં વિવાદાસ્પદ ભીંતચિત્રો મંગળવારે સૂર્યોદય પહેલા હટાવી લેવાશે

- text


મોરબી : વિવાદનું કેન્દ્ર બનેલા સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરના ભીંતચિત્રોને હટાવી લેવાની આખરે મંગળવારે એટલે કે આવતીકાલે સવારે સૂર્યોદય પહેલા હટાવી લેવા જાહેરાત કરવામાં આવી છે.

સાળંગપુર મંદિર ખાતે ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના બાળસ્વરૂપને નમન કરતા બતાવવામાં આવ્યા હતા. આ મામલે સનાતન ધર્મના સાધુઓએ જોરદાર વિરોધ શરૂ કર્યો હતો, અને જો આ ભીંતચિત્રોને ના હટાવાયા તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. આખરે બંને પક્ષો વચ્ચે આજે અમદાવાદના શિવાનંદ આશ્રમમાં બેઠક થઈ હતી, અને ત્યારબાદ તેમના દ્વારા યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ભીંતચિત્રોને હટાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પણ સંતોની બેઠક થઈ હતી, અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા.

- text

હિન્દુ ધર્મ આચાર્ય સભા દ્વારા જાહેર કરાયેલી એક પ્રેસ નોટમાં જણાવ્યા અનુસાર, વડતાલ પીઠાધીશ્વર રાકેશ પ્રસાદ મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સનાતન ધર્મનો હિસ્સો છે તેવો મત વ્યક્ત કર્યો હતો, અને સંપ્રદાય હિન્દુ સમાજનો જ હિસ્સો હોવાથી સમાજમાં કોઈની લાગણી ના દુભાય તેવી તેમની લાગણી હોવાનું પણ જણાવ્યું હતું. આ પ્રેસ નોટમાં એવી પણ માહિતી અપાઈ છે કે, ભીંતચિત્રોથી લોકોની લાગણી દુભાઈ છે, જેથી તેમને આવતીકાલે સૂર્યોદય પહેલા જ ઉતારી લેવામાં આવશે. એટલું જ નહીં, અન્ય જે મુદ્દાઓ છે તે બાબતે પણ સંતો સાથે વિચાર પરાર્મશ બેઠક ટૂંક સમયમાં યોજવામાં આવશે. વડતાલ મંદિર દ્વારા સંપ્રદાયના સંતોને કોઈ વિવાદાસ્પદ નિવેદન ના આપવા માટે પણ આદેશ આપ્યો છે.

ઉલ્લેખનિય છે કે, વિવાદ શરૂ થયો ત્યારથી જ સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓએ વિવાદાસ્પદ નિવેદનો આપતા મામલો વધુ ગરમાયો હતો, અને નૌતમ સ્વામીએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે હનુમાનજીએ ભગવાન સ્વામિનારાયણની અનેકવાર સેવા કરી છે. આ જ નિવેદનને કારણે નૌતમ સ્વામીને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.

- text