બનેવીએ બે મિત્રો સાથે મળીને સાળાની પથ્થરના ઘા ઝીકીને હત્યા કરી

- text


હળવદના મેરૂપર ગામની ઘટનામાં ત્રણેય આરોપીઓઓ પોલીસની હાથવેંતમાં

હળવદ : હળવદ તાલુકાના મેરૂપર ગામે આધેડની પથ્થરના ઘા ઝીકીને નિર્મમ હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. મોટર સાયકલમાં નુકશાનીના પૈસાની લેતી દેતીમાં બનેવીએ બે મિત્રો સાથે મળીને સાળાની પથ્થરના ઘા ઝીકીને હત્યા કર્યાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. હાલ ત્રણેય આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળે છે.

- text

હત્યાના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદના મેરૂપર ગામે આવેલ યોગેશભાઈ હરજીવનભાઈ પટેલની વાડીએ રહીને મજુરી કરતા મૂળ મધ્યપ્રદેશના ચાંદપુર જિલ્લાના અલીરાજપુરના વતની દેવલાભાઈ નુરાભાઈ ચૌહાણ નામના આધેડની ગતરાત્રે પથ્થરના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બીજા કોઈએ નહિ પણ તેના બનેવીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતકના પુત્ર નાનકાભાઈ દેવલાભાઈ ચૌહાણએ આરોપીઓ ભીખલીયાભાઈ લગસિંહ કાંકરિયા, ચંદુભાઈ જુબાટીયાભાઈ, છીતુંભાઈ જુબાટીયાભાઈ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની વિગતો મુજબ મૃતક દેવલાભાઈ ચૌહાણ અને તેનો બનેવી બાજુ બાજુની વાડીમાં રહેતા હોય ગઈકાલે બાઇક અથડાવવા મુદ્દે બન્ને વચ્ચે માથાકૂટ થઈ હતી. મૃતકના પુત્રનું બાઇક આરોપી છીતુંભાઈ સાથે ભટકાયુ હતું.આથી આરોપી છીતુંભાઈએ બાઇકની નુક્શાનીના 500 રૂપિયા ફરિયાદી પાસે માંગતા ફરિયાદીએ પૈસા નહિ આપતા ફરિયાદીની ગેરહાજરીમાં આરોપીઓએ ઝઘડો કરી ફરિયાદીના પિતા દેવલભાઈને પથ્થરો મારીને હત્યા નિપજાવી હતી. બનેવી સહિતના ત્રણેય હત્યારાઓ હત્યા કરીને નાસી છૂટ્યા બાદ ત્રણેય આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળે છે.

- text