મોરબી જિલ્લાના 375 ગામોની માટી દિલ્હી ખાતે અમૃત વાટિકામાં અર્પણ કરાશે

- text


મોરબી જિલ્લામાં 9 થી 30 ઓગસ્ટ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે

મોરબી : દેશને સ્વતંત્રતા અપાવનાર લડવૈયા તેમજ દેશ માટે અનેક બલિદાન આપનાર દેશના ઘડવૈયાઓના સન્માન માટે તેમજ દેશના દરેક વીરોને વંદન કરી માતૃભૂમિ પ્રત્યેનું ઋણ ચૂકવવાના એક આદર્શ ઉદ્દેશ્ય સાથે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સરકાર સમગ્ર રાષ્ટ્રમાં ‘મારી માટી મારો દેશ’ અભિયાન ઉજવવા જઈ રહી છે. જે અન્વયે 9 થી 30 ઓગસ્ટ દરમિયાન વિવિધ કાર્યક્રમો થકી સમગ્ર રાષ્ટ્ર દેશ ભક્તિના રંગે રંગાશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્ય આ મહાઅભિયાનમાં સહભાગી બની વીરોને યાદ કરી તેમની યશગાથા સાથે ‘મારી માટી મારો દેશ’ અભિયાનની ઉજવણી કરવમાં આવશે. જે અન્વયે મોરબી જિલ્લામાં પણ આ અભિયાનની રંગેચંગે અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવનાર છે. ઉમંગ અને ઉલ્લાસ સાથે મોરબીનું ગામેગામ આ અભિયાનમાં સહભાગી બની માતૃભૂમિ પ્રત્યેનું ઋણ ચૂકવવા તત્પર છે.

‘માટીને નમન વીરોને વંદન’ કરવાના એક ઋણ સાથે આ કાર્યક્રમ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. આગામી 10 ઓગસ્ટના રોજ મોરબી જિલ્લાની તમામ કુલ 362 ગ્રામ પંચાયતો એટલે 375 ગામો ખાતે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે.

- text

આ ગ્રામ પંચાયતો ખાતે શિલાફલકમ્ ઊભો કરી માતૃભૂમિની માટીને સામૂહિક શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. જ્યાં વસુધા વંદન હેઠળ વન વિભાગ દ્વારા સ્થાનિક 75 રોપાઓનું વાવેતર કરી અમૃત વાટિકા બનાવવામાં આવનાર છે. આ કાર્યક્રમો દરમિયાન ગામની માટી એક કળશમાં એકત્ર કરવામાં આવશે. આ માટી 17 ઓગસ્ટના રોજ વાજતે-ગાજતે બ્લોક લેવલે એટલે કે તાલુકા મથકે લઈ આવવામાં આવશે. જ્યાંથી તાલુકાનું પ્રતિનિધિત્વ કરી એક યુવાન એ કળશ લઇ રાષ્ટ્રીય કક્ષાએ દિલ્હીના કર્તવ્ય પથ પર અમૃતવાટિકામ ખાતે જશે, જ્યાં દેશની એ અમૃતવાટિકામાં ગામે ગામની માટી અર્પણ કરાશે.

‘મારી માટી મારો દેશ’ અભિયાન હેઠળ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ કેમ્પેઇન નું પણ આયોજન કરવામાં આવનાર છે.નગરપાલિકા કક્ષાએ પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. જે હેઠળ હળવદ નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ 10 ઓગસ્ટના રોજ યોજાનાર છે, જ્યારે મોરબી, વાંકાનેર તેમજ માળિયા નગરપાલિકા કક્ષાના કાર્યક્રમો 11મી ઓગસ્ટના રોજ યોજાશે. નગરપાલિકા કક્ષાના કાર્યક્રમમાં પણ વીરોનું સન્માન કરવામાં આવશે, શહેરી વિસ્તારમાં પંચ પ્રાણ શપથ લઇ લોકો પોર્ટલ પર સેલ્ફી અપલોડ કરશે. વસુધા વન કાર્યક્રમ અંતર્ગત ઓછામાં ઓછ 75 વૃક્ષો વાવી તેનું જતન કરવામાં આવશે. નગરપાલિકા કક્ષાએ પણ શિલાફલકમ સ્થાપિત કરવામાં આવશે.

- text