વાંકાનેર શિષ્યવૃતિ કૌભાંડમાં મોટા માથાને બચાવવાનો ખેલ

- text


પે સેન્ટરના આચાર્યો દ્વારા રજૂ કરેલ બિલોને બદલાવીને નવા પગાર બિલો બનાવ્યા જેમાં પે સેન્ટરના આચાર્યોની સહીઓ ન હોવા છતાં ટીપીઈઓએ સહીઓ કરી કૌભાંડ આચર્યું હોવા છતાં ટીપીઈઓના નામનો ઉલ્લેખ નહીં !

મોરબી : વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગ દ્વારા રૂપિયા 53લાખના ચકચારી શિષ્યવૃતિ સહિતના કૌભાંડમાં શિક્ષક ત્રિપુટીએ સ્ક્રિપ્ટેડ કબૂલાત આપી જેના ઈશારે કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવા તત્કાલીન ટીપીઈઓને બચાવવા ખેલ પાડી દીધો હોવાનું અને ત્રાણું લાખનું કૌભાંડ 53 લાખનું કરી નાખ્યું હોવાના ચોકવાનારા આક્ષેપો થઈ રહ્યા છે.

અત્યંત સુમાહિતગાર વર્તુળોના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં વાંકાનેર શિક્ષણ શાખામા વર્ષ – ૨૦૧૭ થી વર્ષ – ૨૦૨૦ સુધી ગરીબ બાળકોને અપાતી શિષ્યવૃત્તિ, વિદ્યાલક્ષ્મી બોન્ડની રકમ, ગરીબ બાળકોને મળતા આર.ટી.ઈ.ના લાભો,નિવૃત થયેલ મૃત્યુ પામેલ શિક્ષકોને અપાયેલ સિલેક્શન ગ્રેડની એરિયર્સની રકમ નિવૃત થયેલ શિક્ષકોના રજાના રોકડ રૂપાંતર બિલો ડબલ વખત જમા કરી જેતે આચાર્ય જે તે શિક્ષક પાસેથી એકાઉન્ટ પે ના ચેક લખાવી,પે સેન્ટરના આચાર્યો બનાવેલ બિલોમાં ફેરફાર કરી ખોટા પગાર બિલો બનાવેલ, જેમાં આચાર્યોની સહીઓ વગર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એ સહીઓ કરી એમના મળતીયાઓ અબ્દુલ શેરસિયા, અરવિંદ પરમાર,હિમાંશુ પટેલ, મહમદ શેરસિયા, તૌફિક બાદી, અલ્ફાઝ બાદી, બેલાબેન પરમાર, વગેરેના વ્યક્તિગત ખાતે જમા કરી, શિક્ષકો ન હોય એવા તેર જેટલા વ્યક્તિઓના તાલુકા પંચાયતમાંથી પગાર જમા કરી ડીડીઓના કહેવા મુજબ ત્રેપન લાખનો ભ્રષ્ટાચાર કર્યો છે.

જો કે શિક્ષણ શાખાના સુમાહિતગાર સૂત્રોના આંકડા મુજબ અન્ય એસ.એસ.એ. બી.આર.સી.વગેરે અન્ય વિભાગો મળી ત્રાણું લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરેલ છે જેની વર્ષ-૨૦૨૦ માં પણ તપાસ થયેલ એ વખતે પણ તાજેતરમાં જ દાહોદ જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસીબી ટ્રેપમાં જેલવાસ ભોગવી રહ્યા છે એ મોરબી જિલ્લામાં હતા ત્યારે વાંકાનેર ભ્રષ્ટાચારનો મામલો બહાર આવતા એક શિક્ષકને બદલીની હળવી સજા કરીને તપાસનું મીંડું વાળું દીધું હતું.

- text

બસ એવી જ રીતે ચાલુ વર્ષે ઓડિટ પેરાના આધારે છેલ્લા ચાર માસથી તપાસ ચાલતી હતી એ મુજબ દળી દળીને ઢાંકણીમાં એમ માત્ર ત્રણ વ્યક્તિઓ અબ્દુલ શેરસિયા તત્કાલિન બી.આર.સી. અને હાલના સી.આર.સી.કો.ઓ. અરવિંદ પરમાર શિક્ષક અને હિમાંશુ પટેલ શિક્ષક આ ત્રણ વ્યક્તિઓ ઉપર ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ છે પણ જેમની સહીથી જેમના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ભ્રષ્ટાચાર થયેલ છે,વિરુદ્ધ કોઈપણ પગલાં લેવામાં આવેલ ન હોય,નાની માછલીઓને જાળમાં ફસાવી પણ મોટા મગરમચ્છ ફરી એકવાર બચાવવા માટે એફ.આર.આઈ.માં ડીપીઈઓ લખાવ્યું છે કે શિક્ષકોએ વિશ્વાસઘાત કરી,સહીઓ મેળવી સિક્કા લગાવી ભ્રષ્ટાચાર કર્યો છે.

આશ્ચર્ય તો એ વાતનું છે કે, વિશ્વાસઘાત સંબંધમાં હોય વહીવટમાં ન હોય,વિશ્વાસઘાત એક વખત હોય ત્રણ ત્રણ વર્ષ સુધી ન હોય, આમ અધિકારી પદાધિકારીઓ દ્વારા બચાવીને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું કામ ચાલુ રાખ્યું છે,વધુમાં શિક્ષક ત્રિપુટીઓ પાસેથી નિવેદન પણ મોટા માથાને બચાવવા લખાવ્યા હોવાનું દેખાઈ આવે છે,જેમાં લખાવી લીધું છે કે આ ભ્રષ્ટાચારમાં ટીપીઈઓ ક્યાંય સામેલ નથી,આવા બધા હથકંડા અપનાવી એફ.આર.આઈ.માં વિશ્વાસઘાત લખાવી ભ્રષ્ટાચાર કરનાર કરાવનારને ફરી એકવાર બચાવી લેવાયા છે.અને શિક્ષક ત્રિપુટી પાસે ભ્રષ્ટાચારના રૂપિયાના ચલણ ભરાવી ત્રણેય શિક્ષકોને ફિટ કરી મોટા માથાને બચાવવાની પૂર્વ આયોજીત સ્ક્રીપટ લખાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

- text