- text
ટંકારાના વાઘગઢ ગામે વૃધ્ધ ખેતમજૂરની જમીનમાં દટાયેલી લાશ મામલે ટંકારા પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો
ટંકારા : ટંકારા તાલુકાના વાઘગઢ ગામે સોમવારે જમીનમાં દટાયેલી હાલતમાં વૃધ્ધ ખેતમજૂરની લાશ મળી આવવાના ચોંકાવનારા અટપટા શંકાસ્પદ બનાવમાં મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી ટંકારા પોલીસે બનાવ હત્યાનો હોવાનું અનુમાન લગાવી તપાસ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં જ હત્યારાને ઝડપી લીધો હતો. ટંકારા પોલીસની તપાસમાં વૃધ્ધ ખેતમજૂરની તેમના જ પુત્રએ હત્યા કરી હોવાનું બહાર આવતા આરોપીને અટકાયતમાં લઈ પૂછપરછ કરતા ભાગમાં આવેલા પૈસા પિતાએ અન્યને આપતા પિતાને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું કપાતર પુત્રે કબૂલાત આપી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના વાઘગઢ ગામે રાજેશભાઈ નથુભાઈ રાણીપાની વાડીએ ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મનાવર તાલુકાના દેવલા ગામના હીરાભાઈ વેસ્તાભાઈ ડાવરા ઉ.62ની વાડી નજીક વોકળા પાસેથી જમીનમાં દટાયેલી લાશ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલી આપતા મૃતકને બોથડ પદાર્થના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.
વધુમાં મૃતક હીરાભાઈ વેસ્તાભાઈ ડાવરા તેના પુત્ર પપ્પુ અને પરિવાર સાથે ખેતમજૂરી કરતા હોવાનું અને મૃતક હીરાભાઈની પુત્રી શારદાબેન અને જમાઈ પણ વાઘગઢ ગામે રાજેશભાઈ નથુભાઈ રાણીપાની બીજી વાડી વાવતા હોય ટંકારા પીએસઆઇ હરેશભાઇ રામભાઈ હેરભા, રાઇટર જીતુભાઇ પટેલ અને ખાલિદખાન કુરેશી સહિતની પોલીસ ટીમે આ રહસ્યમય બનાવની જીણવટભરી તપાસ શરૂ કરી હતી.
- text
દરમિયાન શંકાના દાયરામાં રહેલ મૃતક હીરાભાઈ વેસ્તાભાઈ ડાવરાનો પુત્ર પપ્પુ પિતાનો મૃતદેહ મળી આવ્યાની આગલી રાત્રે બહેનના ઘેર આવ્યો હોવાનું અને રાત્રે પણ ત્યાં જ રોકાઈ ગયો હોવાનું જણાવી શારદાબેને પોલીસને જણાવી પિતાને જમવા માટે બોલાવવાનું કહેતા પપ્પુએ પિતા એટલે કે મૃતક હીરાભાઈ વાડીએ ન હોવાનું જણાવી ક્યાંક કામે ગયા હશે તેવું કહી ગુમસુમ હાલતમાં બેઠો હોવાનું શારદાબેને જણાવતા પોલીસને પુત્ર પપ્પુ ઉપર શંકા દ્રઢ બની હતી.
દરમિયાન આરોપી પપ્પુને અટકાયતમાં લઈ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા કપાતર પુત્રે પિતા સાથે વાડી વાવવાના ભાગમાં આવેલા પૈસા અન્યને આપતા તેને સારું લાગ્યું ન હોવાનું અને પિતા સાથે ઝઘડો થતા મારમારતા વૃદ્ધ પિતાનું મૃત્યુ નિપજતા મૃતદેહને દાટી દીધો હોવાનું કબુલતા પોલીસે આરોપી પુત્ર પપ્પુને અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી, આમ, ટંકારા પીએસઆઇ એચ.આર.હેરભા, રાઇટર જીતુભાઇ પટેલ, ખાલિદખાન કુરેશી સહિતના પોલીસ સ્ટાફે રહસ્યમય હત્યાના બનાવનો ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી આરોપીને પણ દબોચી લીધો છે.
- text