- text
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપાધ્યક્ષ અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ હર્ષદભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિ
મોરબી : તા. ૨૧ ફેબ્રુઆરી ના રોજ “વિશ્વ માતૃભાષા દિન” હોય જેની ઊજવણીના ભાગરૂપે મહર્ષિ ગુરૂકુલ-હળવદમાં માતૃભાષા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું. જેના પ્રથમ દિવસે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપાધ્યક્ષ અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ હર્ષદભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં માતૃભાષા સપ્તાહનું ઉદ્દઘાટન સત્ર યોજાયું.
મારી માતૃભાષા મારું ગૌરવ અને માતૃભાષા સંવર્ધનમાં શિક્ષકની ભૂમિકા જેવા વિષયો પર વિદ્યાર્થીઓ અને શિક્ષકમિત્રો સાથે સંવાદ થયો. હર્ષદભાઈ શાહ દ્વારા માતૃભાષા અંતર્ગત કાર્યયોજના સંદર્ભે વિશેષ માર્ગદર્શન મળ્યું. માતૃભાષા દિન શા માટે ? તેની ઊજવણી પાછળનો ઈતિહાસ, વિશ્વની માતૃભાષાના અસ્તિત્વના જોખમ માતૃભાષા સાથે જોડાયેલી સાંસ્કૃતિક ધરોહર અને પરંપરાઓ વિશે માહિતગાર કર્યા. તેમજ વિદ્યાર્થી, વાલી, શિક્ષણજગત અને સમાજના દરેક લોકો માટે માતૃભાષા પ્રત્યે ગૌરવની અનુભૂતિ થાય, પોતાના જીવન વ્યવહારમાં માતૃભાષાનો સ્પષ્ટ રીતે ઉપયોગ થાય એવા ભગીરથ પ્રયાસ સાથે માનનીયશ્રી હર્ષદભાઈ શાહ સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરી રહયા છે.
- text
માતૃભાષા સપ્તાહ અંતર્ગત આગામી સાત દિવસ સુધી મહર્ષિ ગુરૂકુલમાં માતૃભાષા મંચ ચાલશે. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ગુજરાતી ભાષાના શબ્દો જોડણી, રૂઢિપ્રયોગો, કહેવતો, જોડકણાં અને ગુજરાતના સાહિત્યકારોનો અભ્યાસ અને પરિચય કરાવવામાં આવશે. મહર્ષિ ગુરૂકુલના મેનેજીંગ ડિરેકટર રજનીભાઈ સંઘાણીના જણાવ્યા મુજબ મહર્ષિ ગુરૂકુલ “ભાષાસજ્જતા, ભાષા સંરક્ષણ અને ભાષા સંવર્ધન કરવા માટે પૂર્ણ પ્રયાસ કરશે.”
- text