મોરબી : ૧૧ થી ૧૭ જાન્યુઆરી માર્ગ સલામતી સપ્તાહ ઉજવાશે

- text


અકસ્માત એ માનવસર્જિત આપદા છે: જરૂરી સવચેતી દાખવી તેને જરૂર નિવારી શકાય

મોરબી :“વાહન ધીમે ચલાવો, ઘરે તમારી કોઈ રાહ જુએ છે” રાહ જોતા બાળકો અને પરિવારના સભ્યોના ચિત્રો વાળુ એ બેનર તો આપણે ઘણી જગ્યાએ જોયુ હશે. માર્ગ પર થતા અકસ્માતો અને મૃત્યુના કિસ્સાઓ નિવારવા અને લોકોને એ બાબતે જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો/અભિયાન ચલાવવામાં આવે છે. આવુ જ એક અભિયાન માર્ગ સલામતી સપ્તાહ-૨૦૨૩ ૧૧ જાન્યુઆરી થી શરૂ થઈ રહ્યું છે.

માર્ગ સલામતી સપ્તાહ એટલે લોકોને વાહન ચલાવતી વખતે રાખવાની સુરક્ષા બાબતે જાગૃતિ ફેલવવા માટેનો સપ્તાહ. ૧૧ થી ૧૭ જાન્યુઆરી દરમિયાન આ સપ્તાહ અંતર્ગત લોકોમાં રોડ પર રાખવાની સાવચેતી અને નિયમો અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવાનો સૌથી મહત્વનો હેતુ માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુનો આંકડો ઘટાડવાનો છે.

અકસ્માત એ માનવસર્જિત આપદા છે, જેને યોગ્ય સાવચેતી રાખવામાં આવે તો જરૂરથી નિવારી શકાય છે. અકસ્માતમાં કોઈ વ્યક્તિ એકલો મૃત્યુ નથી પામતો, તેની સાથે જોડાયેલા અનેક સંબંધો પણ ભાંગી પડે છે. ક્યાંક નાના બાળકો અનાથ બની જાય છે તો ક્યાંક માતા-પિતાનો એક નો એક સહારો છીનવાઈ જાય છે. ઘડીભરમાં હસતો, ખિલ-ખિલાટ કરતો પંખીનો માળો વેરવિખેર થઈ જાય છે. આવા તો અનેક કિસ્સા આપણી સામે આવતા હોય છે. આવા કિસ્સાઓ રોકી શકાય છે, જરૂર છે માત્ર સાવચેતી અને જાગૃતિની.

માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત શાળા-કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ અને અન્ય જાગૃતિના કાયક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેથી બાળકો જાગૃત બની તેમના પરિવારના અન્ય સભ્યોને પણ જાગૃત બનાવે. ઉપરાંત બાળપણથી તેમની અંદર આ માર્ગ સલામતીના બીજ રોપાય તો તે ભવિષ્યના જાગૃત ડ્રાઈવર બને. કોલેજોની અંદર પણ યુવા વર્ગને સીધા ટાર્ગેટ કરવામાં આવે છે.

- text

માર્ગ સલામતી બાબતે જન જાગૃતિ ફેલાવવા માટે શેરી નાટકો, શોર્ટ ફિલ્મ, રેલીઓ અને સેમીનાર વગેરે જેવા માધ્યમો થકી જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવે છે. ઉપરાંત અકસ્માતના સ્થળ પર પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડવા વગેરેની સમજ પણ પૂરી પાડવામાં આવે છે.

અકસ્માત સંભવિત જગ્યાઓને કેન્દ્રિત કરી ત્યા જરૂરી ફેરફારો કરવા, ભયજનક સિગ્નલ દર્શાવવા, જ્યાં જ્યાં સાઈન બોર્ડ કોઈ કારણોસર નિકળી ગયા હોય ત્યાં ફરીથી તેને સ્થાપિત કરવા વગેરે પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેથી અકસ્માતો નિવારી શકાય અને અકસ્માતથી થતા મૃત્યુનો દર પણ ઘટાડી શકાય. આપણે પણ આ જનહિતના રાષ્ટ્રવ્યાપી અભિયાનનો હિસ્સો બનીએ અને શક્ય હોય ત્યાં સુધી કેટલાક જરૂરી નિયમોનું પાલન કરીએ.


• બાઈકની ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું

• ગાડીની ક્ષમતા અનુસાર વ્યક્તિઓએ જ બેસવું

• રસ્તા પરના વિવિધ સિગ્નલો વિશેની સમજ કેળવવી

• ટ્રાફીકના નિયમોનું પાલન કરવું

• સિલ્ટ બેલ્ટ બાંધવું

• વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ ન કરવો

• ઉંઘ આવતી હોય કે તબિયત ખરાબ હોય તો ડ્રાઈવીંગ ન કરવું

• મર્યાદિત ઝડપથી જ વાહન ચલાવવું

• નશાયુક્ત પદાર્થોનો ઉપયોગ કરી ડ્રાઈવીંગ ન કરવું

• વાહન ચલાવતી વખતે સચેત રહેવું


- text