પ્રમુખ સ્વામી મહારાજનગરમાં BAPS મહિલા દિનની ઉજવણી

- text


 

નારી ઉત્કર્ષ મંડપમાં મહિલા સેમિનારો, સંવાદો, અને કળા મંચ દ્વારા દ્વારા જોવા મળી રહી છે મહિલા ઉત્કર્ષની અભૂતપૂર્વ ઝલક

મોરબી : પ્રમુખ સ્વામી મહારાજનગરમાં આજે BAPS મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાંજે ૫ વાગ્યે ધૂન-પ્રાર્થના સાથે સંધ્યા સભાનો પ્રારંભ થયો. સંવાદ, વિડિયો, નૃત્ય  દ્વારા પ્રમુખસ્વામી મહારાજના મહિલા ઉત્કર્ષના કાર્યને દર્શાવતી રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

અનેક મહિલા અગ્રણીઓએ આજની સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભગવાન સ્વામિનારાયણના મહિલા ઉત્કર્ષના કાર્યને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વિશાળ ફલક પર વિસ્તાર્યું. BAPS સંસ્થાની મહિલા પાંખે દેશ-વિદેશમાં પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી આયોજનબદ્ધ વિકાસ સાધ્યો છે. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી થયેલું મહિલા ઉત્કર્ષનું કાર્ય સમગ્ર સમાજ માટે ઉપકારક સાબિત થયું છે.

કન્યા કેળવણીના પ્રખર પુરસ્કર્તા પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી કરમસદ અને રાંદેસણમાં વિશાળ વિદ્યાસંકુલોની સાથે સાથે BAPS સંસ્થાના વિવિધ સત્સંગકેન્દ્રો ખાતે યોજાતી કારકિર્દી માર્ગદર્શન શિબિરો, વાંચન પર્વ, અભ્યાસ પર્વ, કેમ્પસ સભાઓ, સ્પોકન ઇંગ્લિશ વર્ગો, ઓડિયો-વિઝ્યુઅલ વર્કશોપ, સ્કોલરશીપ જેવી પ્રવૃત્તિઓ હજારો કિશોરીઓ- યુવતીઓની કારકિર્દી ઘડતરમાં ઉપકારક સાબિત થઈ રહી છે. પ્રતિસપ્તાહ યોજાતી હજારો મહિલા સત્સંગ સભાઓ મહિલાઓને પારિવારિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક ઉચ્ચતા તરફ આરોહણ કરાવી રહી છે. ૧૯૭૫ થી આજપર્યંત મહિલા દિન નિમિત્તે દેશ વિદેશમાં યોજાતા સંમેલનો લાખો મહિલાઓ માટે તેઓના પ્રશ્નો પ્રત્યે વિશેષ જાગૃતિ કેળવનારાં બની રહ્યા છે.

આ વેળાએ સ્મૃતિ ઈરાની, મહિલા અને બાળ વિકાસ મંત્રી, લઘુમતી મંત્રાલય – ભારત સરકાર, એવલિન અનાઈટ, રોકાણ અને ખાનગીકરણ માટે નાણા રાજ્ય મંત્રી – યુગાન્ડા પ્રજાસત્તાકમ, જસ્ટિસ ફિલોમેના મ્વિલુ, કેન્યાના ડેપ્યુટી ચીફ જમજમર3 ભારતીબેન ધીરુભાઈ શિયલ  – ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, શારદાબેન પટેલ, સંસદ સભ્ય – લોકસભા,પૂનમબેન માડમ, સંસદ સભ્ય – લોકસભા, સંયુક્તકુમારી વિજયરાજસિંહ ગોહિલ, મહારાણી, ભાવનગર, રીવાબા જાડેજા, ધારાસભ્ય – જામનગર (ગુજરાત),અમૃતા ફડણવીસ, ભારતીય બેંકર, અભિનેતા, ગાયક અને સામાજિક કાર્યકર્તા,ડો. નીમાબેન આચાર્ય, ભૂતપૂર્વ અધ્યક્ષ, ગુજરાત વિધાનસભા ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય બેંકર, અભિનેતા, ગાયક અને સામાજિક કાર્યકર્તા અમૃતા ફડણવીસે જણાવ્યું,“આજે હું ખૂબ જ ખુશ છું કે મહારાષ્ટ્રથી હું આ ઉત્સવ નગરીમાં આવી છું અને શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું તે મારું સૌભાગ્ય છે. પ્રમુખસ્વામી મહારાજે દુનિયાને પ્રેમનો સંદેશ આપ્યો છે અને આપણા બાળકો તેમણે દર્શાવેલાં મૂલ્યો અને આદર્શો પર ચાલી રહ્યા છે તે આપણા માટે ગર્વની વાત છે. પ્રમુખસ્વામી મહારાજે ૭,૫૦,૦૦૦ થી વધારે પત્રોના જવાબ આપીને તેમને શાંતિ અને મોક્ષ માટે માર્ગદર્શન આપ્યું છે.”

યુગાન્ડાના રોકાણ અને ખાનગીકરણ- નાણા રાજ્ય મંત્રી માન. એવલિન અનાઈટે જણાવ્યું,“પ્રમુખસ્વામી મહારાજે “બીજાના ભલામાં આપણું ભલું” સૂત્ર આપીને સમગ્ર માનવજાતમાં પરોપકારની ભાવના જગાવી છે. મને સૌ ભારતીયોની ‘ નમસ્તે ‘ કહેવાની રીત બહુ ગમી છે કારણકે તેમાં સાચા અર્થમાં આદરભાવ જોવા મળે છે.”

ભારતના મહિલા અને બાળ વિકાસ તથા લઘુમતી મંત્રાલયના કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું,“હું મુંબઈમાં હતી ત્યારે મને દાદર મંદિર જવાનો મોકો મળ્યો હતો ત્યારે મારા પતિ અને બાળકને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ મળ્યા હતા. ગુરુના શરણમાં માતૃશક્તિનો સંગમ છે. બાલનગરીમાં બાળકો અને બાલિકાઓની શક્તિ અને સંસ્કારો જોવા મળી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજની સેવા માટે જન્મ પામવો એ પુણ્યનું કાર્ય છે. અમેરિકામાં વસતા એક ભક્તે જ્યારે તેમના પારિવારિક શાંતિ માટે ઉપાય સૂચવ્યો ત્યારે પ્રમુખસ્વામી મહારાજે પરિવાર માટે સામય આપવાની વાત કરી. આપણે આદર્શોના માર્ગમાંથી ભટકી ના જઈએ એટલે પ્રમુખસ્વામી મહારાજે સૂચવેલા પ્રાર્થના અને પુરુષાર્થનો સંગમ કરવો પડશે. આ સંપ્રદાયે રાજનીતિમાં રહેલા વ્યક્તિઓને પણ રાષ્ટ્રનીતિના માર્ગે પ્રેરિત કર્યા છે. સ્વામીશ્રીએ હક અને ફરજોનું સમન્વય કરવાનું શીખવ્યું. ભારતમાંથી સમગ્ર વિશ્વને સંદેશ આપવો હોય તો એ છે કે વિનમ્રતાના માર્ગે ચાલી, મહિલા હોય કે પુરુષ-બંનેએ સાથે મળીને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવાનું છે. મેં જ્યારે સુવર્ણા પ્રદર્શનમાં છેલ્લાં 6 મહિનાથી રત બાલિકાઓને પૂછ્યું કે તમે પરિવારથી દૂર છો છતાં કેવી રીતે ખુશ છો ? તેમણે કહ્યું કે, ‘બેન, અમે સેવામાં છીએ.’ એક નાના બાળક શંભુ માટે પ્રમુખસ્વામી મહારાજ ગામડામાં પધાર્યા અને બાળકોનો વિશ્વાસ સંપાદિત કરીને સંદેશ આપ્યો છે કે જ્યારે જ્યારે ભક્ત, ગુરુને યાદ કરે ત્યારે ત્યારે હાજર થઈ જાય છે .”

- text

કેન્યાના ડેપ્યુટી ચીફ જસ્ટિસ માન. જસ્ટિસ ફિલોમેના મ્વિલુએ જણાવ્યું,“આજે મહિલા સશક્તિકરણ દિવસ ઉજવાઈ રહ્યો છે તે ખૂબ જ ગર્વની વાત છે. ૮૦,૦૦૦ સ્વયંસેવકોનું સેવા અને સમર્પણ ખૂબ જ અદ્ભુત છે અને કોઈને પણ મનાતું નથી કે આ સમગ્ર પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ હંગામી ધોરણે કરવામાં આવ્યું છે કારણકે આ પ્રમુખસ્વામી મહારાજ નગર ખૂબ જ ભવ્ય અને દિવ્ય છે. પ્રમુખસ્વામી મહારાજે સફળતા માટે પ્રાર્થના અને પુરુષાર્થનું સૂત્ર આપ્યું છે તે મારા માટે મોટી શીખ છે. સક્ષમ નારી વગર ઘરનું નિર્માણ નથી થઈ શકતું કારણકે દરેક સફળ પુરુષ પાછળ એક નારીનો સાથ હોય છે. ‘ બીજાના ભલામાં આપણું ભલું ‘ એ ભાવના સાથે આપણે જીવીશું તો વિશ્વભરમાં શાંતિ સ્થપાશે.”

ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું,“૮૦,૦૦૦ થી વધારે સ્વયંસેવકો જે અહી સેવા કરી રહ્યાં છે તેમને મારા શત શત વંદન. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં અંતરિક્ષમાંથી સાક્ષાત્ પ્રમુખસ્વામી મહારાજ સતત આશીર્વાદ વરસાવતા હોય તેવી અનુભૂતિ થાય છે. પ્રમુખસ્વામી મહારાજ વ્યસનમુક્તિ અભિયાન અને આદિવાસી ઉત્થાનનાં કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે અને અનેક લોકોના જીવન પરિવર્તન કરીને સમાજ પર મોટો ઉપકાર કર્યો છે. પ્રમુખસ્વામી મહારાજ સમયની મર્યાદા જોવા વગર સતત હરિભક્તો ને આશીર્વાદ આપતાં રહ્યાં છે અને તેમના દુઃખો દૂર કર્યા છે. પ્રમુખસ્વામી મહારાજે “ઘર સભા” ની ભેટ આપીને સમગ્ર માનવજાત પર મોટો ઉપકાર કર્યો છે અને મારા ઘરમાં પણ ઘરસભા નિયમિત થાય છે. સંસ્કૃતિ અને સંસ્કારોનું જતન મહિલાઓ કરે છે માટે પ્રમુખસ્વામી મહારાજે મહિલા સશક્તિકરણ માટે અનેક કાર્યો કર્યાં છે. વિશ્વની અંદર ભારતીય મહિલાઓનો જોટો જડે તેમ નથી કારણકે તેઓ નિઃસ્વાર્થ ભાવે સેવા અને સમર્પણ કરે છે. “જનસેવા એ પ્રભુસેવા” એ પ્રમુખસ્વામી મહારાજની જીવનભાવના રહી છે. ‘વસુધૈવ કુટુમ્બમ’ની ભાવના આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દર્શાવવામાં આવી છે.”

હિન્દુ અમેરિકા ફાઉન્ડેશન(HAF) ના એક્ઝિક્યુટિવ ડિરેકટર સુહાગ શુક્લાએ જણાવ્યું, “હું આજે પ્રમુખસ્વામી મહારાજ નગર જોઈને ખૂબ જ અભિભૂત છું. પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દીની ઉજવણી કરી રહ્યા છે ત્યારે મને તેમનું સૂત્ર યાદ આવે છે કે “પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ” કારણકે આ સૂત્ર દ્વારા પ્રમુખસ્વામી મહારાજે જુદા જુદા ધર્મો વચ્ચે સંવાદિતાની ભાવના પ્રજ્વલિત કરી છે. પ્રમુખસ્વામી મહારાજે એકતા , આદરભાવ અને સત્યના પાઠ શીખવ્યા છે.’નમસ્તે એક શબ્દ નથી પરંતુ સાધના છે જે આપણને અંદરથી શુદ્ધ કરે છે.’ જો આપણે દરેકમાં ભગવાનના દર્શન કરીશું તો નાતજાત અને ઊંચનીચના ભેદભાવથી ઉપર આવી જઈશું.”

- text