મોરબી તાલુકાનાં વનાળીયા ગામનો વર્ષો જુનો મહેસુલી પ્રશ્ન હલ કરતા મામલતદાર 

- text


એક જ નંબરની બે નોંધ હક્કપત્રકમાં દાખલ થયેલ હોવાથી ખેડૂતો હેરાન પરેશાન થતા મામલતદારે સૂઝબૂઝથી પ્રશ્ન ઉકેલ્યો : ગ્રામજનો દ્વારા મામલતદારનું અભિવાદન કર્યું

મોરબી : મોરબી તાલુકાના વનાળીયા ગામના 1500થી વધુ ખેડૂતોના વર્ષો જૂનાં મહેસુલી પ્રશ્નનું નવ નિયુક્ત મામલતદારે આગવી સુઝબુઝ અને જિલ્લા કલેકટર તેમજ પ્રાંત અધિકારીના માર્ગદર્શન મુજબ તાત્કાલિક અસરથી સોલ્યુશન કાઢતા વનાળીયા ગામના ખેડૂતો ખુશખુશાલ બન્યા છે અને આજે મામલતદાર સહિતની ટીમનો ગામ સમસ્ત દ્વારા આભાર વ્યક્ત કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજ્બ મોરબી તાલુકાના વનાળીયા ગામનાં હકકપત્રકે વર્ષ ૧૯૮૧ થી વર્ષ ૧૯૮૩ સુધીમાં ગામ નમુના નં.૬ની નોંધ નં.૧૧૩૦ થી ૧૧૮૨ દાખલ થયેલ અને ફરીથી વર્ષ ૨૦૦૦ થી વર્ષ ૨૦૦૧ સુધીમાં નોંધ નં.૧૧૩૦ થી ૧૧૮૨ દાખલ થયેલ. આમ,એક જ નંબરની બે હકકપત્ર નોંધો દાખલ થઈ નિર્ણય થયેલ પરંતુ આ બંને નોંધોના પ્રકાર,દાખલ તથા પ્રમાણિત તારીખ,હિત ધરાવનારાઓ તથા અસરકર્તા સર્વે નંબરો તથા નિર્ણયો અલગ-અલગ હોવાથી ગામના તમામ ખેડુત ખાતેદારોને તેમની જમીનના ટાઈટલમાં પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડતી હતી.વધુમાં, ગુજરાત સરકાર દ્વારા મેન્યુઅલ હકકપત્ર નોંધો સ્કેન કરાવી ઓનલાઈન કરવામાં આવેલ ત્યારે સોફ્ટવેરમાં એક ગામે એક નંબરની એક જ નોંધ અપલોડ થઈ શકતી હોવાથી બેવડાતી અન્ય નોંધો ઓનલાઈન થઈ ન શકતાં ખાતેદારોની મુશ્કેલીમાં વધારો થયેલ હતો.

- text

આ બાબતે ગામનાં ખાતેદાર ખાતેદાર ખેડુતો,આગેવાનો,સરપંચ દ્વારા મહેસુલી અધિકારીઓ,પદાધિકારીઓને ઘણા સમયથી રજુઆતો કરવામાં આવતી હતી તથા મુખ્યમંત્રીનાં સ્વાગત કાર્યક્રમમાં પણ રજુઆતો કરવામાં આવેલ.મહેસુલી આંટીઘુંટીનો વીસથી વધુ વર્ષો જુનો અને દસથી વધુ વર્ષોથી રજુઆતોવાળો આ પ્રશ્ન ગ્રામજનોએ મોરબી ગ્રામ્યના નવનિયુક્ત મામલતદાર નિખિલ મહેતાને ધ્યાને મુકતાં તેમણે આ પ્રશ્નમાં અંગત રસ દાખવી કલેક્ટર મોરબી જે.બી.પટેલ તથા પ્રાંત અધિકારી મોરબી ડી.એ.ઝાલાનું માર્ગદર્શન મેળવી એક જ નંબરવાળી બંને નોંધોની અલગ-અલગ સ્કેન કોપીની એક જ સ્કેન કોપી બનાવી અપલોડ કરવાનું નક્કી કરેલ પરંતુ તેમ કરવા જતાં એક જ નોંધ નંબરમાં બે અલગ પ્રકારની નોંધોમાં ફેરફારનાં પ્રકારો તથા સર્વે નંબરો સમાવિષ્ટ થતાં હોઈ ભવિષ્યમાં ટાઈટલનો પ્રશ્ન ઉદ્દભવી શકે તેમ હોઈ તેમણે મહેસુલી સુઝ દાખવી રેવન્યુ ઓથોરીટીએ એક સરખા નંબરવાળી બે નોંધમાંથી ટાઈટલ ચકાસણી સમયે જે સર્વે નંબરનું ટાઈટલ તપાસવાનું હોય તેને લાગુ પડતી નોંધ ધ્યાને લેવી તે મતલબનો હુકમ કરવા વિગતવાર દરખાસ્ત પ્રાંત અધિકારી,મોરબીને મોકલતા તેઓએ પણ અંગત રસ દાખવી ખાતેદારોનાં હિતમાં હુકમ કરી સંબંધિત સર્વે નંબરોનાં ગામ નમુના નંબર-૭માં હુકમી નોંધ દાખલ કરી આપતાં વર્ષો જુના મહેસુલી પ્રશ્નનું સુખદ નિરાકરણ આવ્યું છે.

વનાળીયા ગામ સમસ્તના આ વર્ષો જુનાં પ્રશ્ન બાબતે ટુંક સમયમાં નિરાકરણ થતાં વનાળીયા ગામનાં સરપંચ, ગ્રામ પંચાયતનાં સદસ્યો તથા ગામનાં આગેવાનોએ આજે વનાળીયા ગામે તાલુકા મામલતદાર નીખિલભાઈ મહેતા અને મહેસુલી અધિકારીઓનાં અભિવાદનનો કાર્યક્રમ ગોઠવી વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરેલ હતો.

- text