- text
હળવદના દિઘડિયા ગામે પતિ સહિતના સસરિયાઓએ સંતાન ન થતા ખોટા કામ કરવા દબાણ કરતા ફરિયાદ
હળવદ : હળવદ તાલુકાના દિઘડિયા ગામે રહેતા પરિણીતાને સંતાન ન થતા હોવાની સાથે ચારિત્ર્ય ઉપર શંકા કરી પતિ સહિતના સસરિયાઓએ વાડીએ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા માવતરે ગયેલ પરિણીતાને મોરબી સિવિલમાં ખસેડી પતિ, સસરા, નણંદ અને દિયર વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ગોલાસણ ગામે પિયર ધરાવતા ગંગાબેન મેહુલભાઈ મૂંધવાના બે વર્ષ પૂર્વે દિઘડિયા ગામના મેહુલભાઈ રણછોડભાઈ મૂંધવા સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ સામસામા લગ્ન થયા બાદ બે વર્ષના દામ્પત્ય જીવનમાં ગંગાબેનને સંતાન ન થતા સસરિયાઓ દ્વારા ચારિત્ર્ય ઉપર શંકા કરી પતિ દ્વારા ખોટા કામ કરવા દબાણ કરી ત્રાસ ગુજારવામાં આવતો હતો પરંતુ સામસામા લગ્ન હોય ગંગાબેન મૂંગા મોઢે ત્રાસ સહન કરતા હતા.
- text
દરમિયાન ગત તા.7ના રોજ ગંગાબેન વાડીએ કામ કરવા જતા પતિ મેહુલ રણછોડભાઇ મુંધવા, સસરા રણછોડભાઇ રામાભાઇ મુંધવા, દિયર દિનેશ રણછોડભાઇ મુંધવા અને નણંદ રંજનબેન રણછોડભાઇ મુંધવા,
રહે.-બધા દિઘડીયા વાળાઓએ તું ખરાબ છો, તને સંતાન નથી થતા તેમ કહી પતિને ખોટા કામમાં સાથ કેમ નથી આપતી કહી ઢીકા પાટુનો માર મારી દોરડાના કટકાથી ફટકારતા ગંગાબેન બાદમાં માવતર ગોલાસણ જતા રહેતા ત્યાંથી મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સસરિયાઓના ત્રાસ મામલે મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
સમગ્ર મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિતના સસરિયાઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૪૯૮(ક),૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજ્બ ગુન્હો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
- text