- text
હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં આદિવાસી પરિણીતાને મોતને ઘાટ ઉતારી દેવા પ્રકરણમાં પરિણીતાના પિતાની ફરિયાદને આધારે મહિલાના પતિ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધાયો છે. આડા સંબંધની શંકાએ પતિએ પત્નીને ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યાનું બહાર આવ્યું છે, જો કે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હત્યારા પતિને ઝડપી લીધો છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ બે દિવસ પૂર્વે હળવદ તાલુકાના ચરડવા ગામની સીમમાં ધનકીબેન નવલાભાઈ ડામોર નામની મહિલાની લાશ મળી આવતા પ્રાથમિક તપાસમાં જ પતિ શંકાના દાયરામાં હતો. દરમિયાન હત્યાના આ બનાવ અંગે ધાનકીબેનના પિતા નગરાભાઇ તીતરીયાભાઇ ભાભોર, રહે.ઉડાર, ભાભોર ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ વાળાએ આ બનાવમાં ધાનકી બેનના પતિ છગનભાઇ નવલાભાઇ ડામોર રહે.પાનમ તા.ધાનપુર જી.દાહોદ વાળા વિરુદ્ધ હત્યા કરવા મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
- text
ઉલ્લેખનીય છે કે ધાનકીબેનના અગાઉ લગ્ન થઈ ગયા હતા અને તેમને બે સંતાનો પણ હતા બાદમાં પતિનું મૃત્યુ થતા ધાનકીબેને પાનમ ગામના છગનભાઇ નવલાભાઇ ડામોર સાથે બે વર્ષ પૂર્વે લગ્ન કર્યા હતા અને હળવદ તાલુકાના ચરાડવા ગામે ખેતમજૂરી કરતા હતા. પરંતુ પતિ છગનભાઇને ધાનકીબેનને પાનમ ગામના છનુભાઇ સાથે પ્રેમ સંબધ હોવાની શંકા રાખી આડેધડ માર મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. હાલમાં ધાનકીબેનના પિતાની ફરિયાદ બાદ ત્વરિત કાર્યવાહી કરી હળવદ પોલીસે આરોપી પતિ છગનભાઇ ડામોરને ઝડપી લીધો છે.
- text