ગુજરાત સરકાર ફૌજી જવાનોને ચૂકવાતા પુરસ્કારમાં ધરખમ વધારો સુચવ્યો

- text


ગુજરાતના ગેલેન્ટરી કે સર્વિસ મેડલ ધારક જવાનોને હાલમાં ચૂકવાતા રૂપિયા 22,500ને બદલે રૂપિયા 1 કરોડનો પુરસ્કાર સુચવ્યો : હવે સમિતિ નિર્ણય લેશે

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રી જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે.અલગ અલગ શ્રેણીમા આ પુરસ્કારની રકમ રૂપિયા એક લાખથી લઈ એક કરોડ રૂપિયા સુધી કરવા નક્કી કરાયું છે અને સચિવોની કમિટી વિચારણા કરી આ અંગેનો અહેવાલ સરકારને સોંપશે

ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કરેલા આ નિર્ણયની વિગતો આપતા વધુમાં જણાવ્યું છે કે શહીદ થનારા જવાનોના કુટુંબિજનોને આ રાહત અને ગેલેન્ટરી એવોર્ડમાં વધારા સિવાય બાકીની અન્ય માંગણી અંગે એક ઉચ્ચ કક્ષાની સચિવોની કમિટિ વિચારણા કરશે અને તેનો અહેવાલ રાજય સરકારને આપશે તેવા આદેશો કરવામાં આવ્યા છે. હાલમાં સરકાર દ્વારા પરમવિર ચક્ર વિજેતા જવાનને મુખ્યમંત્રી ફંડમાંથી અપાતા રૂપિયા 22,500ને બદલે રૂપિયા 1 કરોડ, અશોક ચક્ર વિજેતા જવાનોને 20 હજારને બદલે 1 કરોડ, મહાવીર ચક્ર, કીર્તિ ચક્ર શ્રેણીમાં 50 લાખ, સહિત કુલ 13 શ્રેણીમાં ઓછામાં ઓછા એક લાખ અને વધુમાં વધુ એક કરોડનો સૂચિત પુરસ્કાર આપવા નક્કી કર્યું છે.

- text

ઉપરાંત હાલ માજી સૈનિકોને રાજય સરકારની નોકરીઓમાં જે અનામત આપવામાં આવે છે તે મુજબ વર્ગ-૧ અને ૨ માટે ૧ ટકા, વર્ગ-૩ માટે ૧૦ ટકા અને વર્ગ-૪ માટે ૨૦ ટકા અપાય છે. જમીનની માંગણીને સંબંધ છે ત્યાં સુધી માજી સૈનિકોને તેમના કુટુંબનો જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે ૧૬ એકર જમીન સાંથણીથી આપવામાં આવે છે તેની વિગતો પણ ગૃહ રાજય મંત્રીશ્રીએ આપી હતી.

આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા શહીદ જવાનોના પરિવારજનોને મળતા લાભમાં પણ અનેક સુધારા વધારા કરી ભલામણ ઉચ્ચ કક્ષાની સચિવોની કમિટિ સમક્ષ મોકલી આપી છે જે વિચારણા કરશે અને તેનો અહેવાલ રાજય સરકારને આપશે.

- text