રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ એક્શનમાં : દરેક તાલુકાઓમાં મેડીકલ ટીમ તૈનાત

- text


આરોગ્ય કર્મચારીઓ તેમજ આશા-વર્કર સહિત કુલ ૧,૩૭૭ ટીમોની રચના કરાઈ

અત્યાર સુધી ૪ લાખ જેટલા લોકોને સઘન સર્વેલન્સ હેઠળ આવરી લેવાયા

મોરબીઃ સમગ્ર ગુજરાતમાં મેઘ મહેર સાથે મેઘરાજાએ મોરબી જિલ્લામાં પણ સર્વત્ર અનરાધાર વરસાદ સાથે એન્ટ્રી મારી છે. જિલ્લામાં વરસાદ પછી રોગચાળાને ફેલાતો અટકાવવા તેમજ નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા અટકાયતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.

રોગચાળા અટકાયતની પ્રવૃત્તિઓ સંલગ્નની કામગીરી માટે મોરબી જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ તેમજ આશા વર્કર સહિત કુલ ૧,૩૭૭ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો દ્વારા હાલ સુધીમાં ૮,૦૮૨૦ ઘરોની મુલાકાત લઇ ૩,૯૯,૦૦૩ જેટલા લોકોને સઘન સર્વેલન્સમાં આવરી લેવામાં આવ્યા છે. આ સર્વેલન્સ દરમ્યાન ૧,૮૪૦ લોકોના લોહીની તપાસ પણ કરવામાં આવી છે.

વધુમાં અતિ વરસાદના કારણે કોઈ ઈમરજન્સી ઉભી થાય તો તેને પહોંચી વળવા માટે દરેક તાલુકાઓમાં ગાડી, ડ્રાઈવર, ડોકટર્સ અને જરૂરી સ્ટાફ, દવા તથા જરૂરી તમામ સાધન સામગ્રી સાથે એક-એક મેડીકલ ટીમ તૈનાત રાખવામાં આવી છે. આમ મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ રોગચાળા અટકાયતી કામગીરી માટે અને અતિવૃષ્ટિ અંતર્ગત કોઈ વધુ જરૂરીયાત જણાય તેમના માટે સંપૂર્ણ તૈયારીઓ સાથે સજ્જ છે.

આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘર-ઘર મુલાકાત કરી રોગચાળા અંગે સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યા છે. ઉપરાંત ઘરઘર મુલાકાત દરમિયાન આરોગ્ય કર્મચારીઓ દ્વારા હાલની સ્થિતિમાં પાણીજન્ય રોગચાળાથી બચવા શું કરવું–શું ન કરવું વગેરે બાબતોની માહિતી આપી લોકોમાં પાણી જન્ય રોગચાળાથી બચવા અંગે જાગૃતિ કેળવવાની પણ કામાગીરી કરવામાં આવી રહી છે.

- text

વરસાદની પરીસ્થિતિને ધ્યાને લઇ કોઇપણ જાતનો પાણીજન્ય રોગચાળો ફેલાય નહિ તે માટે જરૂરી તમામ તકેદારી રાખવા તમામ લોકોને જિલ્લા વહિવટીતંત્ર તેમજ જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હિરાભાઈ ટમારીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એમ. કતીરા તેમજ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.સી.એલ.વારેવડીયા દ્વારા નમ્ર અપીલ કરાઈ છે.

- text