મોરબી જિલ્લાના ૧.૮૫ લાખ ઘરોને મળ્યું નળ જોડાણ

- text


 

મોરબી જિલ્લો ગ્રામ્ય સ્તરે 100% ઘર ઘર નળ જોડાણ ધરાવતો જિલ્લો બન્યો

મોરબી : ‘જળ એ જ જીવન’ સૂત્રને ચરિતાર્થ કરતું અભિયાન એટલે નલ સે જલ અભિયાન. જીવન અમૃત એવા પાણીને ઘર-ઘર સુધી પહોંચાડવાના ભગીરથ ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ જલ જીવન મિશનનો પ્રારંભ કરાવ્યો. એ મિશનના પરિણામ સ્વરૂપ મોરબી જિલ્લો ગ્રામીણ સ્તરે ૧૦૦ ટકા ઘર ઘર નળ જોડાણ ધરાવતો જિલ્લો બન્યો છે.

ગુજરાતના વિકાસ પથ પર કદમ સાથે કદમ મિલાવીને દોડી રહેલા મોરબી જિલ્લામાં આ યોજનાના પ્રારંભે ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ની સ્થિતિએ ૩૪૨ ગામડાના કુલ ૧,૮૫,૧૦૦ જેટલા ઘરમાંથી ૧,૭૦,૭૪૭ ઘર નળ જોડાણ ધરાવતા હતા એટલે કે ૯૨.૨૫ ટકા નળ કનેક્શન હતા. નલ સે જલ અંતર્ગત પાણીનું જોડાણ પહોંચાડવામાં બાકી રહેલા ૧૪,૩૫૩ ઘરને કેન્દ્ર સ્થાને મૂકવામાં આવ્યા અને છેવાડાના ગામડાઓમાં પણ ઘર ઘર સુધી પાણી પહોંચાડવામાં આવ્યું. જેથી મોરબી જિલ્લો ૧૦૦ ટકા હર ઘર નળ જોડાણ ધરાવતો જિલ્લો બન્યો છે.

- text

સરકાર દ્વારા ૫,૬૫,૩૧,૫૭૫ જેટલી અંદાજિત રકમની ૫૦ જેટલી યોજનાઓ અમલી બનાવવામાં આવી અને ઘર-ઘર સુધી પાણી પહોંચાડવાના કાર્યમાં વાસ્મો લાગી ગયો. ભારત સરકારના જલ જીવન મિશન હેઠળ મોરબી જિલ્લામાં નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત તમામ ગામોમાં દરેક ઘરે નળ જોડાણ મળે તે હેતુથી હયાત તથા વિસ્તારવાની કે વિકસાવવાની સુવિધા બાબતે સ્થાનિક અગ્રણીઓ, ગામના સરપંચો, તલાટીઓ તથા પાણી સમિતિઓને સાથે રાખી વાસ્મોની ટીમ દ્વારા જરૂરિયાત મુજબ લોકભાગીદારી આધારિત યોજનાઓનું અમલીકરણ કરવામાં આવ્યું અને આવી રહ્યું છે. આમ, મોરબી જિલ્લાના ૫ તાલુકાના ૩૪૨ ગામના ૧,૮૫,૧૦૦ ઘરને સો ટકા નળ જોડાણ આપવાનું આ અભિયાન સાર્થક બન્યું. નળ કનેક્શન દ્વારા પાણી સીધું લોકોના ઘર સુધી પહોંચ્યું. જેથી માથે બેડાં સાથે નારીની વ્યથા પણ હવે ભૂતકાળ બની ગઈ છે.

- text