હળવદની જૂની શાકમાર્કેટમાં વેપારી ઉપર સરાજાહેર હુમલો

- text


અજાણ્યા હુમલાખોરોએ વેપારીના ગળા ઉપર ચપ્પુ ફેરવી દેતા સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા

હળવદ : હળવદમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે જેમાં જૂની શાકમાર્કેટ વિસ્તારમાં દુકાન ધરાવતા વેપારી ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કરી ગળે છરી ફેરવી દેતા પ્રથમ હળવદ બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના રાણેકપર પર રોડ ઉપર સિદ્ધિ વિનાયક પાર્કમાં રહેતા અને જૂની શાકમાર્કેટમાં ડુંગળી, બટાટા અને કટલેરીનો ધંધો કરતા અમિતભાઇ માણેકલાલ મેંઢા (ઠક્કર) ઉ.45 ઉપર અજાણ્યા શખ્સોએ બપોરના સમયે હુમલો કરી ગળા ઉપર છરી ફેરવી દીધી હતી.

વધુમાં આ હીંચકારા હુમલામાં ગળે છરી લાગવાથી પુષ્કળ લોહી વહી જતા વેપારી બેભાન બની ગયા હતા. તેઓને ગંભીર હાલતમાં પ્રથમ હળવદ બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા છે.

- text

ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે પણ હળવદમાં આવી જ ઘટનામાં અસામાજિક તત્વોએ યુવાનને બેભાન બની જાય ત્યાં સુધી માર માર્યો હોવાની ઘટના બની હતી ત્યારે પોલીસ હવે લુખ્ખા તત્વો સામે કડક પગલાં ભરી ગુંડાગીરી નાબૂદ કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

- text