જરા વિચારો… દિવાળી પર ઘરને ચકચકાટ કરી નાખ્યું પરંતુ શું મનને ચકચકાટ કર્યું આપણે?

- text


સામેવાળા વ્યક્તિને માફ કરી દેવા જોઈએ અને માફી પણ માંગી લેવી જોઇએ, માનસિક શાંતિ માટે…

કોરોનાના કટોકટીના સમય પછીની આ દિવાળી આવી રહી છે. ચારે બાજુએ જોઈએ ત્યાં દિવાળીની તૈયારી ચાલી રહી છે. બાળકોને છ માસિક પરીક્ષા, સ્ત્રીઓની ઘરની સાફ-સફાઈ સાથે શોપિંગ, ધંધાર્થીઓ ના હિસાબ ની ચુકવણી વગેરે એક નવી ઉર્જા અને ઉત્સાહ સાથે લોકો ફરીથી એક ઉમળકા અને ખુશી સાથે દિવાળી નું સ્વાગત કરવા તૈયાર છે .દિવાળીના શોપિંગ નું લિસ્ટ ,નવી વસ્તુઓ ની ગોઠવણી, નાસ્તા ની તૈયારી વગેરે આ બધું લગભગ થઇ ગયું હશે અથવા થવા આવ્યું હશે, પરંતુ આપણે આ દિવાળીએ કંઈક નવું ન કરી શકીએ? આ દિવાળીએ આપણે ઘરની સાફ-સફાઈ કરી ઘણી જૂની નકામી વસ્તુઓ ફેકી દીધી. ઘરને ચકચકાટ કરી નાખ્યું પરંતુ શું મનને ચકચકાટ કર્યું આપણે? બિઝનેસમેન પૈસાની લેવડ-દેવડ કરી નાખી ,પરંતુ શું મનની લેવડ-દેવડ કરી?

આપણે આખા વર્ષ દરમિયાન ક્યાંકને -ક્યાંક કંઇક ખરાબ અને કંઈક સારા અનુભવ થયા હશે .સારા અનુભવને આપણા મનમાં સાચવી ને યાદગીરી બનાવી .સારા અનુભવ ને બેલેન્સ કેરી ફોરવર્ડ કરી એટલે કે આગળના વર્ષમાં લઈ જાય. પરંતુ જો કઈ ખરાબ અનુભવ રહ્યા હોય તેને આપણે નકામી વસ્તુ ની જેમ ફેંકી દઈ અને ઘાલખાધ સમજી માંડી વાળી. ક્યાંકને ક્યાંક આપણા દિલમાં સંઘરાયેલી પીડાદાયક લાગણીઓ, દુખાયેલું મન ,પીડા ,દુઃખ ,વેદના, છેતરાયા હોવાની લાગણી, મૂર્ખ સાબિત થયા તેનો અફસોસ, વિશ્વાસ તૂટયો એનું દુઃખ, કોઈ પાસે રાખેલી અપેક્ષા ન સંતોષતા મનમાં ગુસ્સાની ભાવના વગેરે કાઢી મનની સાફ-સફાઈ કરી. જેથી નવા વર્ષે તેને આગળ લઈ જઈને મન પર બોજો ન રાખવો પડે. આ બાકી આગળ લઈ જતા માત્ર મન પર બોજ વધે છે જે આગળ જતા મૂંઝવણ વધારે છે અથવા ક્યાંકને ક્યાંક આપણા વર્તનમાં દેખાવા લાગે છે અને સંબંધ ઓછા થવા લાગે છે.

- text

શાયદ આપણાથી એક કામ ઓછું થશે તો ચાલશે, પરંતુ નકામી વસ્તુઓ ફેંકી દઈએ એટલે કે મનની સાફ-સફાઈ કરી. હવે પ્રશ્ન થશે કે મનની સાફ-સફાઈ કેમ શક્ય છે? કારણ કે એ કઈ વસ્તુ નથી એ તો લાગણીઓ હોય છે. જે દિલમાં હોય છે. અઘરું લાગશે મિત્રો પણ અશક્ય નથી. મિત્રો તમે જ કહો કે, આપણે મીઠાઇ કે ચોકલેટમાં લાવીશું તો શું એક્સપાયરી ડેટ થઈ જાય પછી પણ આપણે ખાઈએ છીએ? ના, નથી ખાતા ને. તો હવે આપણી કચવાયેલી લાગણી, પીડા, દર્દ ને કેમ સંગ્રહી શકીએ ?એ સંગ્રહ કરવાથી આપણને ફાયદો થશે? નહીં ને , માત્ર ને માત્ર નુકસાન જ છે. તો શું કામ સંગ્રહ કરી? બાળક ની પરીક્ષા પૂરી થતાં તે જુના કોર્સ ને વાંચતા નથી, પરંતુ નવા કોર્સ માટે તૈયાર થાય છે. એ જ રીતે આપણે પણ આપણા મનને જુના ખરાબ અનુભવમાંથી મુક્ત કરી. આગળના સફર માટે તૈયાર કરીએ.

“આપણે સામેવાળા વ્યક્તિને વ્યક્તિને માફ કરી દેવા જોઈએ અને માફી પણ માંગી લેવી જોઇએ. તેઓ લાયક છે કે નહીં એ વિચારવું નહીં, પરંતુ આપણા મન નો બોજો હળવો થાય તે માટે અને માનસિક શાંતિ માટે.”

આ વર્ષે આપણે દિવાળીમાં નવા કપડા તો પહેરીશું સાથે મનને નવા અને સારા વિચાર આપીશું. આ દિવાળી બધાના જીવનમાં ખુશીઓ પ્રજ્વલિત કરે આવતું વર્ષ શુભ નિવડે તેવી શુભેચ્છા.

લેખિકા- મિત્તલ બગથરીયા


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text