મોરબીના દરબારગઢ વિસ્તારમાં ડહોળા પાણીનું વિતરણ : પાણીજન્ય રોગચાળાનો ભય

- text


મોરબી: ભૂગર્ભ ગટર, પાણી વિતરણ સહિતની પાયાની સુવિધાઓ અંગે મોરબીમાં દિવસ ઉગે અને ફરિયાદો ન હોય એવું ભાગ્યે જ બને છે. ત્યારે આજે મંગળવારે શહેરના દરબારગઢ વિસ્તારમાં ડહોળા પાણી અંગે વ્યાપક ફરિયાદો ઉઠી છે અને કોરોના વચ્ચે હવે પાણીજન્ય રોગચાળાને પાલિકા આમંત્રણ આપી રહી હોવાનો ઘાટ સર્જાયો છે.

મોરબીના દરબારગઢ વિસ્તાર સહિત અનેક જગ્યાએ ડહોળુ પાણી વિતરિત થતું હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે. જેનો કાયમી ઉકેલ લાવવાનું પાલિકાને સૂઝતું નથી. વિતરિત થતું આ પાણી પીવાલાયક તો નથી જ પરંતુ વાપરવા લાયક પણ નથી. હાલ શહેરમાં કોરોના મહામારીના સમયમાં અને ઉનાળાની ઋતુમાં દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. ત્યારે અશુદ્ધ પાણી વિતરણથી હવે પાણીજન્ય રોગચાળાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે.

મોરબી શહેરમાં અશુદ્ધ પાણીની સમસ્યા સામે તંત્ર જો યુદ્ધના ધોરણે કામગીરી હાથ નહિ ધરે તો પાણીજન્ય રોગચાળાની વધુ એક સમસ્યા આવનારા દિવસોમાં લોકોના આરોગ્ય માટે વિકરાળ મોં ફાડીને ઉભી રહેશે તેવી આશંકા લોકો વ્યક્ત કરી રહ્યા છે.

- text

- text