વાંકાનેરનું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બન્યું આકર્ષણનું કેન્દ્ર

- text


ગઢડા બાદ ટેકરી પર નિર્મિત હોય તેવું એક માત્ર બીજુ હરિ મંદિર : નૈસર્ગીક વાતાવરણ વચ્ચે સ્ટેપગાર્ડન અને પ્રેમવતી રેસ્ટોરન્ટ સહિતની સુવિધાથી ભાવિકોમાં આનંદ

વાંકાનેર : વાંકાનેર શહેરનાં રાજકોટ માર્ગ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે, અહીં આવનાર દર્શનાર્થીઓને સુંદરતા સાથે શાંતિની અનુભૂતિ અહી થાય છે ત્યારે શહેરનાં એક બેનમૂન નજરાણા સમું આ મંદિર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.

ટેકરી પર નિર્મિત હોય તેવું ગઢડા બાદ આ એક માત્ર વાંકાનેરનું મંદિર છે, મંદિર પરથી મનોરમ્ય પ્રાકૃતિક સૌંદર્ય દ્રશ્યમાન થાય છે, હરિયાળો સ્ટેપ ગાર્ડન, બાળકો માટે હીચકા, લપસીયા જેવા સાધનો, વયો વૃદ્ધો, પરિવારજનો જ્યાં નિરાંતે બેસી શકે તેવી સ્ટેપ ગાર્ડનમાં બેઠક વ્યવસ્થાથી આ મંદિર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે, અહીં પ્રેમવતી રેસ્ટોરન્ટ પણ હોય અહીં લોકો સાત્ત્વિક ભોજનનો પણ આસ્વાદ માણી રહ્યા છે.

ખાસ કરી રજાનાં દિવસોમાં અહીં લોકો ઉમટે છે, ઢળતી સંધ્યાએ સમગ્ર પરિસર લાઈટોથી ઝળહળી ઉઠે છે, જે દ્રશ્ય નિહાળતા માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ ઘડીભર થંભી જાય છે, વાંકાનેર બીએપીએસ મંડળનાં પાયાનાં પથ્થર સમાન સ્વ. પી.વી. આશરના નિવાસ સ્થાને વર્ષો પહેલા સત્સંગ મંડળ ચાલતું, અને તેઓએ સંકલ્પ કરેલો કે વાંકાનેરમાં મંદિર બનાવવું, ત્યારે પુજ્ય પ્રમુખ સ્વામીની પ્રેરણાથી બીએપીએસ સંસ્થા દ્વારા અહીં મીની ટેકરી પર મનોરમ્ય મંદિરનું નિર્માણ કરાયું, અને 2008 માં ડોક્ટર સ્વામીનાં હસ્તે વિધિવત મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી છે.

- text

ટેકરી પર નિર્મિત આ મંદિરના વિકાસ માટે મોરબી ક્ષેત્રનાં સંત નિર્દેશક હરિસ્મરણ સ્વામી તથા મંગલપ્રકાશ સ્વામીએ દિવસ રાત એક કર્યા, વાંકાનેર સત્સંગ મંડળનાં અગ્રણી ઉર્મિલાબેન આશર, જયેશભાઈ રામાણી, હંસાબેન રામાણી, મહેંદ્રભાઈ ત્રિવેદી, સુમિતભાઈ ત્રિવેદી સહિતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

- text