હળવદના સરા રોડ પરની કેનાલમાં ડૂબેલા યુવાનની ત્રીજા દિવસે લાશ મળી

- text


ટીકરના તરવૈયાઓએ મહામહેનતે યુવાનના મૃતહેદને કેનાલમાંથી બહાર કાઢ્યો : વહાલસોયા પુત્રની લાશ મળતા પરિવારજનોનું હૈયાફાટ આંક્રદ

હળવદ : હળવદના સામાન્ય પરિવારનો યુવાન પુત્ર ત્રણ દિવસ પહેલા સરા રોડ પરની કેનાલમાં ડૂબી ગયો હતો. આ ગંભીર બનાવમાં બે દિવસ સુધી તંત્ર મુક પ્રેક્ષક રહ્યા બાદ મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતા તંત્રને રોલો આવ્યો હતો. આ દરમ્યાન ટીકરના તરવૈયાએ કેનાલમાં શોધખોળ કરતા હતભાગી યુવાનની છેક ત્રીજા દિવસે લાશ મળી હતી. વહાલસોયા પુત્રની લાશ મળતા પરિવારજનોનું હૈયાફાટ આંક્રદ કરતા વાતવરણ ગમગીન થઈ ગયું હતું.

આ કરુણ બનાવની પ્રાપ્ત વિગત મુજબ હળવદના ભવાનીનગર ઢોરા પાસે રહેતા જીજ્ઞેશ પંકજભાઈ હડિયલ (ઉ.વ.19) નામનો યુવાન સોમવારે સવારે 9 વાગ્યાની આસપાસ હળવદના સરા રોડ પાસેથી નીકળતી કેનાલમાં ડૂબી ગયો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ બે ભાઈમાં જીજ્ઞેશ મોટો પુત્ર હતો અને તે મોરબીની કોલેજમાં અભ્યાસ કરતો હતો. પણ કોરોનાના કારણે કોલેજ બંધ હોવાથી ઘરે બેઠા જ ઓનલાઈન શિક્ષણ લેતો હતો. તેમજ હાલ છૂટક મજૂરી કામ કરીને પરિવારને મદદરૂપ થતો હતો. ગઈકાલે સરા રોડ ઉપર આવેલ એક સોસાયટીમાં મજૂરી કામે ગયો હતો અને ત્યાં કુદરતી હાજતે જવાનું કહીને જીજ્ઞેશ નીકળ્યો હતો અને આ કેનાલના કાંઠે ગયા બાદ તે કેનાલમાં પડી ગયો હોવાનું કોઈ રાહદારીએ જણાવતા તેમના પરિવારજનો કેનાલ પાસે દોડી ગયા હતા.

પરિવારજનોએ પોતાનો વાહલસોયો પુત્ર કેનાલમાં ડૂબી ગયો હોવાની પોલીસ, મામલતદાર તથા લાગતા-વળગતા તંત્રને જાણ કરી હતી. પણ આ બનાવને બે દિવસ થવા છતાં બે દિવસ સુધી મદદે કોઈ આવ્યું ન હતું. આ બનાવ અંગે સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતા જાણે નિષ્ઠુર તંત્રની બુઠી થયેલી સંવેદના જાગી હોય તેમ તંત્ર આજે દોડતું થયું હતું અને આ કેનાલમાં ટીકરના તરવૈયાની ટીમે યુવાનની શોધખોળ હાથ ધરી હતી. તરવૈયાઓની મહામહેનતે પણ યુવાનની લાશ હાથ લાગી હતી. હાલમાં પોલીસે લાશનો કબ્જો મેળવીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોતાના વાહલસોયો પુત્રની છેક ત્રણ દિવસે લાશ મળતા તેના પરિવારજનોમાં અરેરાટી મચી ગઇ હતી.

- text

- text