કરિયાવર બાબતે ત્રાસ આપી સુરત સ્થિત સાસરિયાઓએ કાઢી મુકતા મોરબીની મહિલાએ કરી પોલીસ ફરિયાદ

- text


પુત્ર જન્મ બાદ આ સંતાન અમારું નથી કહી પતિ સહિત 4 સાસરિયાએ કરી ચારિત્ર્ય અંગે શંકા: મહિલા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ નોંધાવી સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ:

મોરબી : મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામની અને હાલ વૃંદાવન પાર્ક, શિવધારા એપાર્ટમેન્ટ, મોરબી રહેતી સુરત પરણાવેલી મહિલાએ પોલીસમાં સાસરીયાઓ વિરુદ્ધ માનસિક-શારીરિક ત્રાસ આપી માર મારી ઘરમાંથી કાઢી મૂક્યાંની ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.

- text

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામની વતની અને હાલ મોરબી સ્થિત વૃંદાવન પાર્ક, શિવધારા એપાર્ટમેન્ટના બ્લોક નંબર 101માં રહેતી પાયલબેન નરેન્દ્રભાઇ જોષીએ સુરત સ્થિત સાસરિયાઓ વિરુદ્ધ દહેજ બાબતે તેમજ ચારિત્ર્ય અંગે શંકા કરી શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. લગ્નના એક વર્ષ બાદ પતિ નરેન્દ્રભાઈ દશરથલાલ જોષીએ તેના પિતા દશરથલાલ જોષી તથા માતા મુક્તાબેનની ચઢામણીથી શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તારા બાપે લગ્ન સમયે કરિયાવરમાં કશું આપ્યું નથી, તું કઈ મિલ માલિકની દીકરી નથી જેવા મહેણા મારી વારંવાર હડધૂત કરતા અને પતિના મોટા ભાઈ (જેઠ) દ્વારા તું મારા ભાઈને લાયક નથી એમ કહી ઉપરોક્ત ચારેય સાસરિયાઓએ વારંવાર ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

નાની નાની બાબતોમાં ઝઘડાઓ કરી ગાળો ભાંડતા સાસરિયાઓનો ત્રાસ સહન કરતી પરણીતાંની સહનશક્તિની હદ તો ત્યારે આવી ગઈ જ્યારે પરિણીતાને ઘરમાંથી કાઢી મુક્યા બાદ દીકરાનો જન્મ થતા આ બાળક અમારું નથી એમ કહી ચારિત્ર્ય પર શંકા કરી. ઉપરોક્ત તમામ આરોપીઓ પતિ, સાસુ-સસરા, જેઠ વિરુદ્ધ પાયલબેને મોરબી મહિલા પોલીસ સ્ટેશન બી.ડીવી.માં ફરિયાદ નોંધાવતા આઈપીસી કલમ 498 (ક), 323, 504, 114 મુજબ પોલીસ ઇન્સ. ડી.વી.ડાંગરે ગુન્હો રજીસ્ટર કરી ચારેય આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

- text