વાંકાનેરના ખેરવા ગામના કોરાના પોઝિટિવ દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાં રજા અપાઈ

- text


યુવાનને સાત દિવસના હોમ આઇસોલેશનમાં રખાશે

વાંકાનેર : વાંકાનેરના ખેરવા ગામે મામાની તબિયતના ખબર અંતર પૂછવા આવેલા અમદાવાદના યુવાનને અગાઉ કોરોના પોઝિટિવ હોવાનું જાહેર થતા તેને સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ હોસ્પિટલમાં કોરોનાની સઘન સારવારને પગલે યુવાન આજે સ્વસ્થ થતા તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હાલ યુવાનને સાવચેતીના ભાગરૂપે તેને સાત દિવસના હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવશે.

અમદાવાદ રહેતા રવિરાજસિંહ અનિરુદ્ધસિંહ નામનો યુવાન ગત તા.13 ના રોજ વાંકાનેરના ખેરવા ગામે રહેતા તેમના મામાની તબિયતના ખબર અંતર કાઢવા આવ્યા હતા. ત્યારે આ યુવાનની તબિયત લથડતા તેને તેના રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી સેમ્પલ લેવાયા બાદ તેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આથી યુવાનને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરીને સઘન સારવાર કરવામાં આવી હતી. તેમજ આરોગ્ય તંત્રએ આ મામલે ખેરવા ગામે તકેદારીના પગલાં લીધા હતા અને યુવાનના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લીધા હતા. જોકે આ તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

- text

દરમિયાન આજે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા આ કોરોના પોઝિટિવ યુવાનની તબિયત એકદમ સ્વસ્થ બની જતા તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને યુવાન સાજો થઈને ખેરવા ગામે પરત ફરતા સ્થાનિકોએ રાહત અનુભવી છે. જોકે સાવચેતીના ભાગરૂપે તેને સાત દિવસના હોમ આઇસોલેશન હેઠળ રખાશે.

- text