- text
ટંકારા : ટંકારાના લજાઈ ગામે છેવાડાના વિસ્તારમાં અન્યાય થતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. અહીં ઘણા બધા પરિવારો આજની તારીખે ખુલ્લામાં શૌચ કરવા માટે મજબુર છે તો પણ તંત્ર આ બાબતે ધટતુ કરવા તૈયાર નથી. એક તરફ સ્વચ્છતા અભિયાન અંતર્ગત તમામ ગામોને ખુલ્લામાં શૌચથી મુક્ત કરવા શૌચાલયો બનાવવા માટે મસમોટી રકમ ફાળવવામાં આવી છે. જ્યારે બીજી બાજુ આ યોજનાનો લાભ ખરેખર જ્યા જરૂર છે તેવી જગ્યાએ પહોંચ્યો જ નથી.
- text
લજાઈ ગામના પછાત વિસ્તારોમાં હજુ શૌચાલયની સુવિધા પણ ઉપલબ્ધ થઈ નથી. બીજી સુવિધાઓ તો ઠીક છે પણ પાયાની સુવિધા માટે પણ અહીંના લોકો સરકારી કચેરીઓના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છે. આ અંગે અહિના રહીશો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમને પણ ખુલ્લામા હાજતે જતા ડર લાગે છે પણ અમારી મજબુરી છે રહેવા ઘરનું ઘર નથી. બે દશકાથી પ્લોટ માગીએ છીએ પણ મળતા નથી. આમ અહીંના સ્થાનિકોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. પછાત વિસ્તારના લોકોના આરોગ્યને ધ્યાને લઈને તંત્ર દ્વારા તુરંત જરૂરી પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગણી ઉઠી છે.
- text