તો..મોરબીનું દુરદર્શન રીલે કેન્દ્ર ૬ એપ્રિલ થી બંધ થઈ જશે

- text


એફ એમ અને ડિજિટલ ટ્રાન્સમિશન મળે તે પૂર્વે જ દુરદર્શન કેન્દ્રને તાળા લગાવી દેવાશે

મોરબી: ચેનલોની ભરમાર વચ્ચે મોરબીમાં એન્ટેના વડે દૂરદર્શન નિહાળતા લોકો માટે આઘાતજનક સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે વર્ષ ૧૯૯૫માં શરૂ થયેલા મોરબીના દુરદર્શન રિલે કેન્દ્રને આગામી ૬ મીથી તાળા લાગી જશે.

એક સમયે પાકિસ્તાની ટીવી ચેનલના આક્રમણથી દૂરદર્શનના પ્રસારણમાં ભારે મુશ્કેલી પડતી હતી તેથી આ દુરદર્શન કેન્દ્રથી પાકિસ્તાનની ચેનલનું ડિસ્ટબન્સ રહેતું ન હતું ત્યારે હવે આ દુરદર્શન રીલે કેન્દ્ર બંધ થવાથી ફરી લો સિસ્ટમ સર્જાશે. પાકિસ્તાની ટીવી ચેનલના આક્રમણને ખાળવા માટે વર્ષ ૧૯૯૫માં મોરબીમાં દુરદર્શન રીલે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું અને તેથી જ મોરબીમાં દૂરદર્શનની રાષ્ટ્રીય ચેનલો અને પ્રાદેશિક ચેનલોનું પ્રસારણ સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું

- text

આજના ડીજીટલ યુગ અને તીવ્ર હરીફાઇ વચ્ચે પણ મોરબીમાં દુરદર્શન ઘણા લોકો નિહાળે છે ત્યારે હવે આ દુરદર્શનને તાળા લાગી જવાના આંચકારૂપ સત્તાવાર અહેવાલો મળ્યા છે જોકે મોરબીનું દુરદર્શન રીલે કેન્દ્ર બંધ કરવા પાછળનું સત્તાવાર કારણ દર્શાવાયુ નથી પરંતુ સ્થાનિક સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ સરકારના પ્રસારભારતી વિભાગ દ્વારા મોરબી દુરદર્શન રીલે કેન્દ્રને આગામી તા.૬ થી બંધ કરવાનો પરિપત્ર મોકલવામાં આવ્યો છે તેથી હવે આ કેન્દ્ર બંધ થતાં એન્ટેના અને મોબાઈલના ડોનગલ મારફતે દુરદર્શન જોઈ શકાશે નહિ.

વધુમાં મળતી માહિતી મુજબ આ કેન્દ્ર ભાડે ચાલતું હતું અને ૮ની જરૂરીયાત સામે ૪ કર્મચારી કામ કરતા હતા.જો કે આવનારા સમયમાં મોરબીમાં એફ એમ અને ડિજિટલ ટ્રાન્સમિશન મળવાના હતા. તે પહેલાં દુરદર્શન રીલે કેન્દ્રને તાળા લાગી જતા હવે આ લાભ મળશે નહીં. વધુ સુવિધા આપવાને બદલે હયાત સુવિધાઓ પણ છીનવાઈ રહી છે. જાણકારોના જણાવ્યા મુજબ એક વખત આ કેન્દ્ર બંધ થઈ ગયા પછી ફરી કેન્દ્ર શરૂ કરાવવું કઠિન છે. જાગૃત નાગરિકો અને અગ્રણીઓ આ નિર્ણય સામે અવાજ ઉઠાવે તો કેન્દ્રને બંધ થતું અટકાવી શકાય છે.

- text